VADODARA : મહારાષ્ટ્ર વિધાન પરિષદ ઉપસભાપતિ વડોદરાના મહારાણીની મુલાકાતે
VADODARA : વિધાન પરિષદ ઉપસભાપતિ ડૉ. નીલમ ગોર્હે (Deputy Chairperson of Maharashtra Legislative Council - Neelam Gorhe) એ વડોદરાની મુલાકાત દરમિયાન મહારાણી રાધિકા રાજે ગાયકવાડ (Vadodara Royal Family Queen - Radhikaraje Gaekwad) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના જતન માટેના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ સામાજિક ક્ષેત્રે સક્રિય છે અને મહિલાઓના સશક્તિકરણ તથા ઐતિહાસિક વારસાના જતન માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
સહકારની ભાવના વ્યક્ત કરાઈ
ડૉ. નીલમ ગોર્હે દ્વારા આ મુલાકાતમાં મહિલાઓના સશક્તિકરણ, શિક્ષણ અને સાંસ્કૃતિક વારસાના જતન તથા ઉસતોડ મજૂર મહિલાઓ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ સાથે સહકારની ભાવના વ્યક્ત કરાઈ. આ મુલાકાતથી મહિલાઓના સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સ્તરે સંયુક્ત કાર્ય કરવાની નવી દ્રષ્ટિ ઉભી થવામાં મદદ મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.
“મને આવીને ખૂબ આનંદ થશે”
ડૉ. નીલમ ગોર્હે દ્વારા મહારાષ્ટ્રની મહિલાઓ સંબંધિત ભવિષ્યના કાર્યક્રમોમાં હાજરી આપવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી, જેને મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ નિઃસંકોચ સ્વીકાર કરતા, “મને આવીને ખૂબ આનંદ થશે,” એમ જણાવ્યું હતું.
"યોધ્ધા" પુસ્તક મહારાણી રાધિકા રાજેને ભેટરૂપે આપ્યું
આ પ્રસંગે ડૉ. ગોર્હેએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે પર આધારિત "યોધ્ધા" પુસ્તક મહારાણી રાધિકા રાજેને ભેટરૂપે આપ્યું. આ મુલાકાત દરમિયાન ડૉ. ગોર્હે સાથે સ્ત્રી આધાર કેન્દ્રની ટ્રસ્ટી ઝેહલમ જોષી પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓ માટે વડોદરાવાસીઓનો નિશુલ્ક કેમ્પ


