VADODARA : MSU ના લાયકાત વગરના પૂર્વ VC નું જુઠાણું પકડાયું
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના લાયકાત વગરના પૂર્વ વીસી ડો. વિજયકુમાર શ્રીવાસ્તવનું વધુ એક જુઠાણું સામે આવ્યું છે. તેમના દ્વારા સર્ચક કમિટી સમક્ષ રજુ કરવામાં આવેલા બાયોડેટામાં પ્રોફેસર તરીકેના અનુભવની ખોટી માહિતી આપવામાં આવી હોવાનો સ્ફોટક ખુલાસો થયો છે. આ માહિતી આરટીઆઇ દ્વારા મેળવીને એકત્ર કરવામાં આવી છે. (MSU EX VC MISLEADING INFORMATION IN BOIDATA - VADODARA)
યુનિ.માં એડહોક ધોરણએ ફરજ બજાવી
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના લાયકાત વગરના પૂર્વ વીસી ડો. વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપવું પડ્યું હતું. જે બાદ તેમણે સર્ચ કમિટી સમક્ષ રજુ કરેલા તેમના બાયોડેટામાં આપેલી વિગતો ખોટી રજૂ કરી હોવાનું સપાટી પર આવ્યું છે. આ અંગે યુનિ.ના સિનિયર પ્રોફેસર સતિષ પાઠકે આરટીઆઇ મારફતે માહિતી એકત્ર કરી છે. જેમાં જાણવા મળ્યું કે, લાયકાત વગરના પૂર્વ વીસી એ બાયોડેટામાં જુલાઇ - 2017 થી મે - 2018 સુધીમાં ગાંધીનગરની કામધેનું યુનિ.માં પ્રોફેસર કમ એસોસિયેટ ડાયરેક્ટર ઓફ રિસર્ચ તરીકે ફરજ બજાવી હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે આરટીઆઇ મારફતે મેળવેલી માહિતી અનુસાર, ડો. શ્રીવાસ્તવે જુલાઇ થી ડિસે - 2017 સુધી યુનિ.માં એડહોક ધોરણએ ફરજ બજાવી હતી. જે બદલ તેમને મહિને રૂ. 1.30 લાખનો પગાર ચૂકવાતો હતો. તેની સામે પ્રોફેસનરે ચૂકવાતો પગાર વધુ હોય છે.
આઉટસોર્સિંગ એજન્સી થકી રાખવામાં આવ્યા
વધુમાં માહિતી સામે આવી કે, ડિસેમ્બર માસમાં તેમની એડહોક ધોરણે થયેલી નિમણૂંકને રદ્દ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ આ જગ્યા પર તેમને આઉટસોર્સિંગ એજન્સી થકી જાન્યુઆરી થી મે -2018 સુધી રૂ. 50 હજારના પગારે રાખવામાં આવ્યા હતા. આમ, કામધેનું યુનિ.માં તેઓ પ્રોફેસરના હોદ્દા પર નહીં હોવાનું આડકતરી રીતે ફલિત થવા પામ્યું છે. જે આરટીઆઇ મારફતે મળેલી માહિતીમાં સામે આવ્યું છે. આ માહિતી સામે આવતા સર્ચ કમિટીની કામગીરી પણ સવાલો ઉઠવા પામ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : એકલતાનો લાભ લઇને પરિણીતાની છેડતી


