VADODARA : ભણતરના ભાર વચ્ચે MSU ના વિદ્યાર્થીનું જીવન દબાયું
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીમાં ભણતા અને યુનિ. હોસ્ટેલમાં રહેત વિદ્યાર્થીએ બે દિવસ પહેલા જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનામાં ભણતરનો ભાર જવાબદાર હોવાનું સપાટી પર આવ્યું છે. મૃતક વિદ્યાર્થી કાશ્મીરી પંડિત પરિવારનો હોવાની વિગતો પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટના બાદ અંતિમ સમયના સીસીટીવી પર સામે આવ્યા છે. જેમાં યુવકના મોંઢા પર હતાશા જોવા મળી રહી છે. (MSU STUDENT HANGED UNDER ACADEMIC PRESSURE - VADODARA)
બીઇના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.માં ભણવા માટે દેશભરમાંથી વિદ્યાર્થીઓ આવે છે. અહિંયાનું શિક્ષણ વખણાય છે, અને અહિંયાની ડિગ્રી સરળતાથી નોકરી અપાવે તેવો વિદ્યાર્થીઓનો અનુભવ છે. મૂળ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરનો વિદ્યાર્થી અભિષેક શર્મા યુનિ.ની ટેક્નોલોજી ફેકલ્ટીના બીઇના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. અને યુનિ.ની હોસ્ટેલના એમ વિશ્વેસરાય બિલ્ડીંગમાં રહેતો હતો. અભિષેક શર્મા બીઇ મિકેનિકલમાં અભ્યાસ કરતો હતો. અને તેને પહેલા વર્ષમાં એટીકેટી આવી હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે.
તેને સતત ચિંતા સતાવતી હતી
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, હાલ તે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે, અને તેને પહેલા વર્ષમાં એટીકેટી આવી હતી. તેની અસર ત્રીજા વર્ષના એડમિશન પર પડશે કે કેમ તે અંગે તેને સતત ચિંતા સતાવતી હતી. આખરે તેણે 12, એપ્રિલના રોજ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું હતું. ઘટનાને પગલે યુનિ. કેમ્પસમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના પરથી અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે, આજે પણ ભણતરના ભાર નીચે જીવન દબાઇ રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : જાંબુઆ નદીનો પટ કચરાપેટી બન્યો, તંત્રની ઘોર બેદરકારી