VADODARA : સરદાર સરોવર નિગમ દ્વારા જમીન સંપાદનના નાણાં નહીં ચૂકવતા સામાન જપ્તીનો ઓર્ડર
VADODARA : સરદાર સરોવર નિગમ દ્વારા ડભોઇના આસપાસના ગામોમાં જમીન સંપાદન કરવામાં આવ્યું હતું. જેના સંપાદન કર્યા બાદ બાકી નીકળતા જમીનના નાણાં જમીન માલિકોને નહીં આપવામાં આવતા તેઓ કોર્ટમાં ગયા હતા. જ્યાં ડભોઇ કોર્ટ દ્વારા સરદાર સરોવર નિગમ ખાતાના અધિકારીઓના સામાનની જપ્તીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે કાર્યવાહીને આગળ વધારવા માટે પક્ષકાર તથા કોર્ટના બેલીમ સરદાર સરોવર નિગમ ખાતે આવી પહોંચ્યા હતા. ઘટનાને પગલે શહેરભરમાં ભારે ચર્ચા જાગી છે. આ વળતરની રકમ કરોડો રુપિયામાં બાકી નીકળતી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. (SARDAR SAROVAR NIGAM PENDING LAND PAYMENT COURT ISSUE SEIZURE ORDER - VADODARA)
ખુરશી, ટીવી, અને ટેબલોને જપ્ત કરવામાં આવ્યા
સમગ્ર મામલે કોર્ટના બેલીમે મીડિયાને જણાવ્યું કે, આપણી પાસે ડભોઇ સિવિલ કોર્ટનો ઓર્ડર છે. કોર્ટમાં જે પક્ષકાર છે, તેમની જમીન સંપાદન કરવામાં આવી હતી. તેના મળવાપાત્ર પૈસા તેમને મળ્યા ન્હતા. આ અંગે તેમના રજુઆત કરતા તેમણે ઉપરી અધિકારીઓ સુધી વાત પહોંચાડવાની બાંહેધારી આપી હતી. જો કે, લાંબો સમય વાટ જોયા બાદ પણ પક્ષકારોને પૈસા મળ્યા ન્હતા. જેથી તેઓ ચલ (મુવેબલ) સામાન લેવા આવ્યા છે, કોર્ટનો ઓર્ડર છે, જેથી તેને જપ્ત કરવામાં આવી રહ્યો છે. ખુરશી, ટીવી, અને ટેબલોને જપ્ત કરવામાં આવ્યા છે. 6 ઠ્ઠા માળ પર જે સામાન આવેલો છે, અને તેમાંથી જે અમને પક્ષકાર બતાવશે, તેને જપ્ત કરવામાં આવનાર છે.
દર મહિને બેંકમાં જમા કરાવવાની વાતો કરવામાં આવતી
પક્ષકારે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમારે 36 વર્ષથી લડત ચાલે છે. વિતેલા એક વર્ષથી દર મહિને વાયદો આપીને ધક્કા ખવડાવતા હતા. દર મહિને બેંકમાં જમા કરાવવાની વાતો કરવામાં આવતી હતી. વળતરના નાણાંની રકમ અંદાજીત રૂ. 28 - 30 કરોડ હોવાનું તેઓએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો --- VADODARA : હાઇ-વે ઓથોરીટીએ નદી વચ્ચે એપ્રોચ-વે બનાવતા પાલિકા તંત્ર દોડ્યું


