VADODARA : SSG હોસ્પિટલની ફાયર સિસ્ટમ શંકાના દાયરામાં
VADODARA : વડોદરાની એસએસજી હોસ્પિટલ (VADODARA - SSG HOSPITAL) ની ફાયર સિસ્ટમ શંકાના દાયરામાં (FIRE SYSTEM UNDER SCANNER - VADODARA, SSG HOSPITAL) આવી છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા FSO દ્વારા વડોદરા ફાયરના જવાનોને એસએસજી હોસ્પિટલમાં જઇને તપાસ કરવા જણાવ્યું હતું. ત્યાં જઇને જોતા પંપ હાઉસમાં જ પાણી ભરાયેલી હાલત જણાઇ હતી. તેવા સંજોગોમાં આ સિસ્ટમ ઇમરજન્સી સમયે કેવી રીતે કામ લાગશે, તેને લઇને ફાયર અધિકારીઓ મુંઝવણમાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ એસએસજી હોસ્પિટલના ઇન્ચાર્જ ફાયર ઓફિસર દ્વારા સબસલામત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ કિસ્સામાં ઉપરી અધિકારી દ્વારા એસએસજી હોસ્પિટલના મેનેજમેન્ટને ફાયર સેફ્ટી સંબંધે નોટીસ મળે તો નવાઇ નહીં.
FSO તેમને નોટીસ આપશે, જે તે કાર્યવાહી કરશે
સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમએ મીડિયાને જણાવ્યું કે, મને કંટ્રોલરૂમમાંથી મેસેજ મળ્યો કે, એસએસજી હોસ્પિટલના પંપ હાઉસમાં વિઝીટ કરો. જેથી અમે પહોંચ્યા હતા. પંપ હાઉસ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા બંધ લાગે, અને તેમાં પાણી ભરેલું છે. પણ અહિંયાના ઇન્ચાર્જે જણાવ્યું કે, પંપ હાઉસ ચાલુ છે. જમીનમાંથી જે પાણી આવે છે, તે સમયે સ્વીચ ચાલુ કરવામાં આવે તો, કરંટ લાગવાની બીક છે. તેના મેઇન્ટેનન્સ માટે કાર્યાવાહી કરી છે. એક સપ્તાહમાં કામ થઇ જશે, તેવું મને જાણવા મળ્યું છે. સિસ્ટમ બધી ચાલુ છે, તેવું તેમનું કહેવું છે. કોઇ ઘટના બને તો જવાબદારી તેમની હોય. કોઇ ઘટના કહીને નથી આવતી. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા FSO તેમને નોટીસ આપશે, જે તે કાર્યવાહી કરશે. અમારૂ કામ ફક્ત ચેકીંગ કરવાનું છે. પાણીના લીધે એક મહિના જેટલા સમયથી બંધ છે. તેમની વાત માનવું મને થોડુંક અયોગ્ય લાગે છે. આકસ્મીક ઘટના કહીને આવતી નથી.
અમારી ટીમ કોઇ પણ સ્થિતીમાં પહોંચી શકવા સક્ષમ
એસએસજી હોસ્પિટલના ઇન્ચાર્જ ફાયર ઓફિસર કરણ પરબનાએ મીડિયાને જણાવ્યું હતું કે, પંપ હાઉસ બંધ હાલતમાં નથી. તેમાં પાણી ભરાયું છે. પાણીની ટાંકીમાંથી લિકેજ હોવાના કારણે પાણી ભરાઇ રહ્યું છે. ચિંતા કરવા જેવું કશું નથી. આપણે નિયમીત પાણી કાઢતા રહીએ છીએ. ઇમરજન્સી સમયે પંપ શરૂ કરી દઇશું. તે સમયે ચાલુ થઇ જશે. અગાઉ વાલ્વ લિકેજ હતો, તે પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવી છે. આખી એસએસજી હોસ્પિટલમાં નવી ફાયર સિસ્ટમનો સામાન મુકવામાં આવ્યો છે. અમારી ફાયરની ટીમ કોઇ પણ સ્થિતીમાં પહોંચી શકવા સક્ષમ છે.
આ પણ વાંચો --- Ahmedabad શહેરમાં કૂતરાઓનો આતંક! અધધ એક જ મહિનામાં 2000 થી વધારે લોકોને કૂતરાએ બચકા ભર્યાં


