VADODARA : વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેનો ખર્ચ ત્રણ ઘણો પહોંચશે, વાંચો વિગતવાર
VADODARA : વડોદરા (VADODARA) માં ચાલુ વર્ષે ભયંકર માનવસર્જિત પૂર (VADODARA FLOOD - 2024) નો સામનો લોકોએ કર્યો હતો. કેટલાય પરિવારોએ ઘરમાં પાણી સાથે દિવસો વિતાવ્યા હતા. લોકોની વેદના જાણવા તે સમયે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વડોદરા દોડી આવ્યા હતા. અને વિશ્વમિત્રીમાં ફરી પૂર (VISHWAMITRI RIVER - FLOOD 2024) ના આવે તે માટે તાત્કાલિક રૂ. 1,200 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ પૂર નિવારણ માટેના પગલાં માટે ભારત સરકારના પૂર્વ સચિવ બી. એન. નવલાવાલાના અઘ્યક્ષ સ્થાને કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ તાજેતરમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યું છે. જેને પ્રાથમિક સહમતિ મળી છે. આ વચ્ચે રૂ. 1200 કરોડનો ખર્ચ રૂ. 3,200 કરોડ જેટલો થાય તેવી શક્યતાઓ હાલ સામે આવી રહી છે.
વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર બે ફેઝમાં કામ કરવામાં આવશે
ભારત સરકારના પૂર્વ સચિવ બી. એન. નવલાવાલાના વડપણ હેઠળ રચાયેલી કમિટી દ્વારા વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતી ટાળવા માટે 200 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હોવાનું સપાટી પર આવ્યું છે. આ રિપોર્ટનું સંક્ષિપ્તમાં એક વખત મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર બે ફેઝમાં કામ કરવામાં આવશે. જેની પાછળ રૂ. 3,200 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ કામગીરી સમયે શિડ્યુલમાં આવતા વન્ય જીવ મગરને સલામત સ્થળે ખસેડવાની કામગીરીને પ્રાથમિક રીતે હાથ ધરવી પડશે.
નદીની વહન ક્ષમતા 1,100 ક્યુસેક કરવામાં આવશે
પ્રેઝન્ટેશનમાં જણાવ્યા અનુસાર, વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરમાં 1500 ક્યુસેક પાણી આવ્યું હતું. ચોમાસા પહેલા વિશ્વામિત્રી નદી પર પહેલા ફેઝમાં કામ કરાશે. જેમાં નદી ઉંડી-પહોળી કરવાનું આયોજન છે. હાલમાં વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા 750 ક્યુસેક છે, જેને વધારીને 1,100 ક્યુસેક કરવામાં આવશે. સાથે જ આજવા સરોવરથી નીચેના ભાગે વિશ્વામિત્રી નદી પર વિયર બનાવવામાં આવશે. આ સાથે નદીના સંગમ સ્થાનો પણ વિશેષ ઉંડા અને પહોળા કરવામાં આવશે. પ્રથમ ફેઝની કામગીરી પાછળ રૂ. 1,100 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
તળાવોને 1 મીટર સુધી ઉંડા કરાશે
બીજા ફેઝમાં આજવા સરોવરની ક્ષમતા વધારવા પર જોર મુકાશે. તેની સાથે સમાંતર પાઇપલાઇન નાંખવામાં આવશે. તથા શહેર અને વિશ્વામિત્રી નજીકના ભણીયારા, કોટંબી, વડદલા, હરીપુરા અને ધનોરા તળાવોને 1 મીટર સુધી ઉંડા કરાશે. આ સાથે પ્રતાપ સરોવરની પાણી સંગ્રહની ક્ષમતા વધારવામાં આવશે. આમ, વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારના માટેનો માસ્ટર પ્લાનની એક ઝાંખી સામે આવી છે. જે જોતા લાગે છે કે, કામગીરી પૂર્ણ થયા બાદ વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતી ચોક્કસ નિવારી શકાશે, જેની વાટ પ્રત્યેક વડોદરાવાસી આતુરતાથી જોઇ રહ્યો છે.
આ પણ વાંચો -- Coldwave forecast: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી, નલિયા બન્યું ગુજરાતનું કાશ્મીર


