VADODARA : બાકી મિલકતવેરાની વસુલાત માટે પાલિકા રિકવરી મોડમાં
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VMC - VADODARA) દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત (PENDING PROPERTY TAX RECOVERY - VADODARA, VMC) માટે રિકવરી મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા 19 વહીવટી વોર્ડમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકત વેરાના બાકીદારોને ત્યાં સિલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. બાકીદારો જોડે કોઇ ઘર્ષણની ઘટના ના બને તે માટે વહેલી સવારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રેલવે વિભાગ જોડેથી પાલિકાને રૂ. 10 કરોડ લેવાના નીકળે છે, તેની વસુલાત માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવતા પ્રાથમિક તબક્કે રૂ. 1.5 કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે. અને અન્ય બાકીની રકમને ચૂકવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
250 જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવી
પાલિકાના રેવેન્યુ વિભાગના ઇન્ચાર્જ આસિ. કમિ. સુરેશ તુવેરએ મીડિયાને જણાવ્યું કે, હાલમાં વડોદરા પાલિકા દ્વારા મિલકત વેરામાં વ્યાજ માફીની યોજના ચાલુ છે. જેમાં રહેણાંક અને કોમર્શિયલ બંનેમાં પાછલા બાકીના વ્યાજમાં 80 ટકા સુધીની માફી આપવામાં આવે છે. દરમિયાન જે લોકોના વેરા ભરપાઇ કરવાના બાકી છે, તેને સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ આ લોકોને વોરંટની બજવણી કરી દેવામાં આવી છે. હાલમાં વોરંટ, વ્યાજ માફીની નોટીસો, તથા બાકીદારોને ત્યાં સીલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા 19 વોર્ડમાં માસ સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગતરોજ 250 જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવી છે. આ કામગીરી 31, માર્ચ - 2025 સુધી સતત ચાલુ રહેશે.
ઘર્ષણ ટાળવા માટે વહેલી સવારે આ કામગીરી કરવામાં આવી રહી છે
વધુમાં જણાવ્યું કે, અત્યારે ટોપ પ્રાયોરીટીના આધારે સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. જેના પૈસા વધારે તેને પહેલા સીલ કરીએ છીએ. સિલિંગ સમયે ઘર્ષણ ટાળવા માટે વહેલી સવારે આ કામગીરી કરવામાં આવી રહી છે. તે પહેલા તેમને અગાઉ જાણ પણ કરી દેવામાં આવે છે. રેલવે પ્રિમાઇસીસ જોડેથી આંદાજીત રૂ. 10 કરોડની ડિમાન્ડ બાકી હતી. તેમાં જે કોઇ ઘૂંચ હતી તે ઉકેલી છે, તેમની સાથે કરાર થઇ ગયો છે. અને પ્રાથમિક રૂપે રૂ. 1.5 કરોડ જમા કરાવવામાં આવ્યા છે. બાકીની રકમ ભરપાઇ કરવા માટેની તેમણે તૈયારી દર્શાવી છે.
આ પણ વાંચો --- Ahmedabad : જાણીતી શાળાને FRC એ ફટકાર્યો રૂ. 3 લાખનો મસમોટો દંડ


