New Jersey Plane Mishap : અમેરિકામાં પણ અમદાવાદ જેવી દુર્ઘટના? બેકાબુ વિમાન એરપોર્ટની દિવાલ તોડીને બહાર નીકળ્યું
- અમદાવાદની દુર્ઘટના બાદ અમેરિકામાં પણ પ્લેન ક્રેશ
- ન્યુ જર્સીમાં એક નાનું વિમાન ક્રેશ
- સ્કાયડાઇવિંગ વિમાન ક્રેશ, કુલ 15 લોકો સવાર હતા
- બેકાબુ વિમાન એરપોર્ટની દિવાલ તોડીને બહાર નીકળ્યું
New Jersey Plane Mishap : ગત મહિને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરેલા એર ઈન્ડિયાના વિમાનની દુર્ઘટનાએ દુનિયાભરના લોકોને હચમચાવી દીધા છે. આ વિમાનના ક્રેશમાં 275 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું, જે બાદથી જ સોશિયલ મીડિયામાં ચર્ચા થવા લાગી છે કે, શું વિમાનમાં યાત્રા કરવી હવે સુરક્ષિત છે? આ ચર્ચાઓ વચ્ચે અમેરિકાના ન્યુ જર્સીમાંથી એક સમાચાર સામે આવ્યા છે, જે મુજબ અહીં એક સ્કાયડાઇવિંગ વિમાન ક્રેશ થયું છે. જેમા 15 લોકો સવાર હતા.
અમેરિકાના ન્યુ જર્સીમાં એક નાનું વિમાન ક્રેશ
અમદાવાદમાં બનેલી દુર્ઘટના બાદથી તમામ એરલાઇન્સ હવે પહેલા કરતા વધુ સાવચેતી રાખી રહી છે. યાત્રીઓને કોઇ તકલીફ ન થાય તેનું પૂરુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જોકે, આ વચ્ચે અમેરિકાના ન્યુ જર્સીમાં એક સ્કાયડાયવિંગ વિમાન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, દક્ષિણ ન્યુ જર્સીના એક એરપોર્ટ પર એક નાનું સ્કાયડાઇવિંગ પ્લેન રનવે પરથી લપસીને જંગલમાં ઘૂસી ગયું ત્યારે આ અકસ્માત થયો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ફિલાડેલ્ફિયાથી લગભગ 33.8 કિમી દક્ષિણપૂર્વમાં ક્રોસ કીઝ એરપોર્ટ પર સેસ્ના 208B વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 15 લોકો સવાર હતા. આ ઘટનાના ફૂટેજમાં જંગલમાં વિખરાયેલો વિમાનનો કાટમાળ જોવા મળે છે. ફાયર એન્જિન અને અન્ય ઇમરજન્સી વાહનો દ્વારા ઘટનાસ્થળને ઘેરી લેવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, આ વિમાનનો ઉપયોગ સ્કાયડાઇવિંગ માટે થઈ રહ્યો હતો. ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. ફાયર એન્જિન અને કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.
ઘાયલોને ન્યુ જર્સીની કૂપર યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ
આ પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલા લોકોને ન્યુ જર્સીની કૂપર યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જેને ગંભીર ઇજાઓ થઈ છે તેમને ઇમરજન્સી વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના પ્રવક્તા વેન્ડી એ. મારાનોએ જણાવ્યું હતું કે જે દર્દીઓને "ઓછી ગંભીર" ઇજાઓ થઈ છે તેમને ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે, મારાનોએ ઇજાઓના પ્રકાર વિશે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલના ટ્રોમા વિભાગના ડોકટરો બધા પીડિતોની સારવાર કરી રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash દુર્ઘટના બાદ Air India SATS ના કર્મચારીઓને પાર્ટી કરવી ભારે પડી!