UK ના PM ઋષિ સુનકે કેનેડાના PM સાથે કરી વાતચીત, ભારત કેનેડાના વિવાદ અંગે કહી દીધુ આવુ
ભારત અને કેનેડાનો વિવાદ ફક્ત બે રાષ્ટ્રો વચ્ચે સીમિત નથી, વિશ્વભરની રાજનૈતિક ગલીઓમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે શુક્રવારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથે વાત કરી હતી, જેમાં સુનકે ભારત-કેનેડા વિવાદને ઘટાડવા માટેનું આહવાન કર્યું હતું. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે વાતચીતથી રાજદ્વારી વિવાદોને ઘટાડી શકાય છે. બ્રિટિશ ભારતીય નેતાએ ટ્રુડોને ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓ અંગેની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. સુનકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમામ દેશોએ રાજદ્વારી સંબંધો પર વિએના કન્વેન્શનના નિયમો સહિત સાર્વભૌમત્વ અને કાયદાના શાસનનું સન્માન કરવું જોઈએ. આ સાથે તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ ઓછો થશે. સુનક આ બાબત અંગે પણ સંમત થયા કે તેઓ ટ્રુડોને તેમના આગળના પગલાઓમાં ટેકો આપશે.
શું છે સમગ્ર વિવાદ
નોંધનીય છે કે તાજેતરમાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે બ્રિટિશ કોલંબિયાના સરેમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટ સામેલ હતા. ટ્રુડોના આ નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે આ આરોપોને પાયાવિહોણા અને રાજકીય પ્રેરિત ગણાવીને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારાની મુલાકાત લેવાથી રોકી દેવાયા
હકીકતમાં આ રાજદ્વારી વિવાદ બ્રિટનમાં ત્યારે સામે આવ્યો, જ્યારે ભારતીય હાઈ કમિશનર વિક્રમ દુરાઈસ્વામીને ગયા અઠવાડિયે ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓએ સ્કોટલેન્ડના ગ્લાસગો ગુરુદ્વારાની મુલાકાત લેતા અટકાવ્યા હતા. તેમણે કહ્યું કે દુરાઈસ્વામીને ગુરુદ્વારા કમિટિ સાથે મીટિંગ કરવાથી રોકવામાં આવ્યા તે જોઈને તેઓ પરેશાન થયા હતા. તે જ સમયે, વિદેશ કાર્યાલયના મંત્રી એન મેરી ટ્રેવેલ્યને કહ્યું કે વિદેશી રાજદ્વારીઓની સુરક્ષા મહત્વપૂર્ણ છે અને બ્રિટનમાં પૂજા સ્થાનો બધા માટે ખુલ્લા હોવા જોઈએ.
આ પણ વાંચો --ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષ અપડેટ્સ : ઈઝરાયેલ સેનાએ ગાઝા પર કર્યો હવાઈ હુમલો


