હવે Donald Trump 5.5 કરોડ વિઝાધારકોને બળજબરી દેશ નિકાલના બહાનાની શોધમાં!
- હવે Trump ની નજર 5.5 કરોડ વિઝાધારકો પર
- બળજબરી દેશ નિકાલના બહાનાની શોધમાં
- 5.50 કરોડ વિદેશી નાગરિકોના વિઝાની સમીક્ષા
- અમેરિકામાં 5.50 કરોડ વિઝાધારકો પર ખતરો
- નિયમ ઉલ્લંઘન કરનારાઓના વિઝા કરાશે રદ
- વિઝા રદ કરીને સ્વદેશ ડિપોર્ટ કરવામાં આવશે
- જાહેર સલામતી, ગુનાહિત ઈતિહાસ અંગે તપાસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ના વહીવટીતંત્રે ફરી એકવાર કડક ઇમિગ્રેશન નીતિ (strict immigration policy) તરફ પગલું ભર્યું છે. તાજા નિર્ણય અનુસાર, અમેરિકામાં રહેતા લગભગ 55 મિલિયન વિઝાધારકોની સંપૂર્ણ સમીક્ષા શરૂ કરવામાં આવી છે. આ સમીક્ષાનો મુખ્ય હેતુ એ છે કે, જો કોઈ વ્યક્તિએ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય, તો તેની સામે સીધી દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી કરી શકાય.
કોને અસર થશે?
ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump administration) ના આ નિર્ણયથી અમેરિકામાં રહેતા લગભગ દરેક પ્રકારના વિઝા ધારકો પર અસર થઈ શકે છે. તેમાં ખાસ કરીને વિદ્યાર્થી વિઝા (F1) પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વર્ક વિઝા ધરાવતા વ્યાવસાયિકો (H1-B, L1 વગેરે), ફેમિલી અથવા આશ્રિત વિઝા ધરાવતા લોકો, તેમજ ટૂરિસ્ટ અને વિઝિટર વિઝા પર આવેલા પ્રવાસીઓનો સમાવેશ થાય છે. એ સિવાય, ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા પણ આ તપાસના ઘેરામાં આવી શકે છે. અન્ય શબ્દોમાં કહીએ તો, આ પગલાંથી નાના મોટા બધા જ વિઝા ધારકોને કડક સમીક્ષા પ્રક્રિયાનો સામનો કરવો પડશે.
Trump સરકારની દલીલ
યુએસ વહીવટીતંત્રનું માનવું છે કે વિઝાધારકોની કડક સમીક્ષા કરવી જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે આવશ્યક છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, જો કોઈ વિઝાધારકના રેકોર્ડમાં સમય કરતાં વધારે રોકાણ (Overstay), ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી, સુરક્ષા અથવા આતંકવાદ સંબંધિત સંકેતો અથવા અન્ય કોઈપણ કાયદેસર ખામી મળી આવે, તો તેનું વિઝા કોઈપણ સમયે રદ અથવા સસ્પેન્ડ કરી શકાય છે. ખાસ વાત એ છે કે આવી કાર્યવાહી માટે વિઝાધારકને કોઈ પૂર્વચેતવણી આપવી જરૂરી નહીં રહે, એટલે કે સરકારને સીધી કાર્યવાહી કરવાનો અધિકાર રહેશે.
આ પણ વાંચો : America : ડ્રેક પેસેજમાં 7.4 તીવ્રતાનો જોરદાર Earthquake, સુનામીની શક્યતા
તપાસ કોણ કરી રહ્યું છે?
આ વ્યાપક તપાસની જવાબદારી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે સંભાળી છે. અધિકારીઓ તમામ વિઝાધારકોની પૃષ્ઠભૂમિનું વિગતવાર મૂલ્યાંકન કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને પોલીસ રેકોર્ડ, ઇમિગ્રેશન ઇતિહાસ, કોર્ટ કેસની વિગતો અને સાથે અન્ય જરૂરી વ્યક્તિગત દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયા દ્વારા સરકારનો હેતુ એ છે કે કોઈપણ વિઝાધારકના ભૂતકાળમાં કાયદાકીય ગડબડ, ગુનાહિત પ્રવૃત્તિ અથવા સુરક્ષા માટે જોખમકારક બાબતો છુપાયેલી ન રહે.
ચિંતા શા માટે વધી છે?
આ નિર્ણયને લઈને અનેક ઇમિગ્રન્ટ હિમાયતી જૂથોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ, આ પ્રક્રિયા ઘણીવાર કઠોર અને ભેદભાવપૂર્ણ સાબિત થઈ શકે છે, જેના કારણે ઘણા નિર્દોષ લોકોને પણ વિઝા રદ થવાનો ભય સતાવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કુશળ કામદારો માટે આ સ્થિતિ વધુ અનિશ્ચિતતા પેદા કરી શકે છે, કેમ કે તેઓના ભવિષ્ય અને કારકિર્દી પર સીધો પ્રભાવ પડી શકે છે. પરિણામે, આ નીતિ વિદેશી નાગરિકોમાં ભય અને અસ્થિરતાનું વાતાવરણ ઉભું કરી રહી છે.
આ પણ વાંચો : Nikki Haley ની ટ્રમ્પને ચેતવણી - "અમેરિકા-ભારત સંબંધો તૂટવાના આરે છે"