Quiescency : મૌન ઈશ્વરની ભાષા અને અલભ્ય શાંતિની પ્રાપ્તિ
Quiescency 'ભગવાન પાસે મૌન વિના બીજી કોઈ ભાષા નથી, અને ભગવાનની આ ભાષા શાંતિનું સત્ત્વ છે.' આ કથન એક વિલક્ષણ અનુભવની વાણીને રજૂ કરે છે.
જ્યારે આપણે શારીરિક રોગ અને માનસિક સંતાપથી પીડાઈએ છીએ, ત્યારે સહજપણે જ ભગવાનને પોકારી ઊઠીએ છીએ. આપણી પ્રાર્થના, યાચના, માનતા, આર્તભાવે વંદના અને દુઃખમાંથી મુક્ત કરવાની માગણી - આ બધું જ ત્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે જ્યારે અન્ય કોઈ ઉપાયો કામ નથી આવતા. આપણે આશાના ભાંગેલાં શકોરાં લઈને ભગવાનની પાછળ પડી જઈએ છીએ અને જો માગણીનો કોઈ જવાબ ન મળે તો ક્રોધિત થઈ એ શકોરું પટકીને ઈશ્વરનો જ ઇનકાર કરી બેસીએ છીએ. મનુષ્ય માટે આ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. આપણે ભગવાનનો ઉપયોગ કોઈ અકસીર ઇલાજ તરીકે કરવા જઈએ છીએ, પરંતુ જાણે તેમને આપણી યાચના કે યાતનાની કોઈ પરવા જ નથી!
પરંતુ, પેલા સાધુએ તો ભગવાન પાસે કેવળ મૌન ધરીને જ હાજર થવાનું કહ્યું છે. તેઓ આગળ કહે છે: 'અને જે લોકો ભગવાન પાસે માત્ર મૌનને પગલે જાય છે, તેમનું એ સાંભળે છે અને તેમને જવાબ મળી રહે છે.' આ એવા મનુષ્યોના જગતની વાત છે જેમની પ્રાર્થના વ્યર્થ નથી ગઈ; જેમને પોતાનો જવાબ મળી ગયો છે અને એ જવાબ મેળવી તેઓ શાંતિ પામ્યા છે.
Quiescency : અંતરના પ્રાર્થનાખંડમાં નીરવતાનો પ્રવેશ
આપની આસપાસનું જગત તો કોલાહલથી ભર્યું છે, પણ આશ્ચર્યની વાત તો એ છે કે મારી પ્રાર્થનાના ખંડમાં પણ અવાજોનો પાર નથી. આ અવાજોને બહાર રાખી મારે અંતરની પ્રાર્થનામાં પ્રવેશ કરવો રહ્યો.
જે સર્વજ્ઞ છે તેને ચરણે શું નિવેદન કરવાનું હોય? એ મારી પીડા, વ્યથા અને તેમાંથી બહાર નીકળવા માટેની વ્યાકુળતા જાણે જ છે. મારે તો આ વ્યાકુળતાને જ જરા કહેવું પડશે કે 'તું આ પ્રાર્થનાખંડની બહાર થોડી વાર થોભી જા. મારા અંતરમાં શાંતિ, કેવળ નીરવ શાંતિ પથરાઈ જવા દે.'
જો થોડી ક્ષણો પણ મારું મન આવી શાંતિમાં પ્રવેશ કરે તો તેથી મારી પીડા મટી જશે એમ નહિ, પણ પીડાનો કોઈક અર્થ તો જરૂર જડશે. મનુષ્યના હૃદયમાં રહેલો અંતર્યામી મનુષ્યનો ખેલ જોયા કરે છે. એ નિર્દય કે નિષ્ઠુર બની ફક્ત નિહાળ્યા નથી કરતો, પણ અપાર શાંતિથી પોતાના બાળકની વાટ જુએ છે. જ્યારે મનુષ્ય વાણી અને વિચારનું છેલ્લું બિંદુ પણ ખંખેરી નાખે છે અને પોતાની અંદર પ્રભુ પાસે આવે છે, ત્યારે પૂર્વે કદી ન અનુભવેલી શાતાનો તેને અનુભવ થાય છે. બહાર કોઈ ચમત્કાર ભલે ન દેખાય, પણ મૌનના ખંડમાં જેણે મૌન સામે મીટ માંડી હોય છે, તેમની જાતમાં એક અજબ પલટો આવી જાય છે.
શરીર અને મનની પીડાનો જે તરફડાટ આપણે અનુભવીએ છીએ એ તો બહારના આંગણમાં જ મચેલી હલચલ હોય છે. પરંતુ, જે પીડા સંપૂર્ણ સ્વસ્થતા અને સમૃદ્ધિની વચ્ચે થઈને દાવાનળની જેમ પ્રવેશ કરે છે, તે આપણા અંતરખંડને પ્રજાળી મૂકે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે માત્ર ભગવાન માટેનો જ પ્રેમ પ્રગટે ત્યારે શું ભગવાનને કાને પણ ધા ન નાખવી? ત્યારે પણ હોઠ બંધ, જીભ બંધ? હૃદયમાં ઘોળાતી વેદનાને મુખે તાળાં? આ અંતર્દાહ જેમણે વેઠ્યો છે તેમને માટે શાંતિજળ ક્યાં?
આ પણ વાંચો : Bhagavad Gita : કોર્પોરેટ પડકારો અને Gen Z ના તણાવ માટે શાશ્વત ઉકેલ


