દિવાળી પહેલા દેશના આ મંદિરોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- દેશના ઘણા ધાર્મિકસ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- બોમ્બની ધમકીથી ભક્તોમાં ડરનો માહોલ
- દિવાળીમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા જતા હોય છે
Threats to bomb temples : છેલ્લા ઘણા દિવસોથી ફ્લાઈટ્સ, હોટલો, એરપોર્ટ, ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. જોકે, અત્યાર સુધી કોઇ એવી ઘટના બની નથી. પણ જે રીતે સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે તેણે સરકાર અને તંત્રની નાકમાં દમ કરી દીધું છે. થોડા દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની 10 મોટી હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે દેશના ઘણા મંદિરોને પણ બોમ્બની ધમકી મળી રહી છે.
દેશના મંદિરોને બોમ્બની ધમકી
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે, ત્યારે દેશના ઘણા મંદિરો છે જેને બોમ્બની ધમકી મળી છે, જેનાથી સરકાર અને તંત્રની રાતોની નિંદર ઉડી ગઇ છે. દેશના જે મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેમા ઉજ્જૈનના મહાકાલ મંદિર, અયોધ્યાના રામ મંદિર અને તિરુપતિના ઈસ્કોન મંદિર છે. આ ધમકી ઇ મેઇલ દ્વારા મળી છે. જે બાદ મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિવાળીને ધ્યાનમાં રાખીને આવા મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, પરંતુ તે પહેલા જ ધમકીભર્યા મેલથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે, આ મેલ બાદ મંદિર અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ CCTV ની મદદથી લોકોની દરેક કાર્યવાહી પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અયોધ્યા પોલીસે શંકાના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ત્યારપછી વ્યક્તિ પાસેથી વિસ્ફોટક વસ્તુઓ મળી આવી છે.
અગાઉ પણ બોમ્બની ધમકી મળી ચૂકી છે
જો કે, વ્યક્તિ પાસેથી મળી આવેલ વિસ્ફોટકનો ઉપયોગ ફટાકડા બનાવવા માટે થાય છે. અયોધ્યામાં રોશનીના ભવ્ય પર્વને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. અયોધ્યાની સાથે જ ઉજ્જૈનના મહાકાલ મંદિરને ફરી એકવાર બોમ્બની ધમકી મળી છે. આ પહેલા પણ રાજસ્થાનના હનુમાનગઢ રેલવે સ્ટેશન પર એક પત્ર મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે 30 ઓક્ટોબર અને 2 નવેમ્બરના રોજ મહાકાલ મંદિરમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. મહાકાલ અને રામ મંદિર ઉપરાંત તિરુપતિના ઈસ્કોન મંદિરને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ મેલમાં લખવામાં આવ્યું છે કે ISISના આતંકીઓ મંદિરને ઉડાવી દેશે. મંદિરોની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી મંદિર પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ પ્રકારની ધમકીઓના કારણે લોકોમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: Tirupati : ઈસ્કોન મંદિર અને હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી


