Bihar Election : કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કર્યા વિના આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે - કેજરીવાલ
- Aam Aadmi Party બિહાર ચૂંટણી એકલા હાથે લડશે
- અરવિંદ કેજરીવાલે પ્રેસકોન્ફરન્સમાં કરી જાહેરાત
- કેજરીવાલે Visavadar ની જીતને જનતાની જીત ગણાવી
Bihar Election : આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ બિહાર વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું છે કે, ઈન્ડિયા બ્લોક સાથે ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી પૂરતું જ કરવામાં આવ્યું હતું. હવે અમે બિહાર વિધાનસભા ચૂંટણી કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કર્યા વિના લડીશું. તેમણે અમદાવાદમાં કરેલ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પાર્ટીના વિસ્તરણ મુદ્દે પણ આકરા વાકપ્રહારો કર્યા છે.
બિહારમાં આપ કોઈ ગઠબંધન નહીં કરે
આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અને ભાજપના ગુજરાતમાં થતાં વિસ્તરણ પર આકરા વાકપ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ સાથેના ગઠબંધન વિશે પણ સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે, અમારું કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી અને આગામી વિધાનસભા ચૂંટણીમાં 'આપ' એકલા હાથે લડશે. બિહાર ચૂંટણી મુદ્દે પણ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, બિહારમાં કોઈ પણ પાર્ટી સાથેના ગઠબંધન વિના ચૂંટણી લડીશું.
આ પણ વાંચોઃ AIR INDIA ની દિલ્હી-વોશિંગ્ટન ફ્લાઈટ વિયેનામાં અટકાવી દેવાઈ, જાણો કારણ...
આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ છે - કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ઈન્ડિયા બ્લોક સાથેના ગઠબંધન મુદ્દે પણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ઈન્ડિયા બ્લોક (India Block) સાથે ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી માટે કરવામાં આવ્યું હતું. હવે અમારું કોઈ પક્ષ સાથે ગઠબંધન નથી. વિસાવદર પેટાચૂંટણીમાં અમે કોંગ્રેસથી અલગ લડ્યા અને 3 ગણા વધુ મતોથી જીત્યા. આ જનતા તરફથી સીધો સંદેશ છે કે હવે આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ છે. તેમણે દિલ્હી અને પંજાબમાં આપ સરકાર વિશે પણ નિવેદન આપ્યા છે. તેમણે પંજાબમાં ફરીથી સરકાર રચવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે દિલ્હીમાં હાર મુદ્દે કહ્યું કે, રાજકારણમાં ઉતાર-ચઢાવ પણ આવે છે.
ગુજરાતની જનતા હવે કોંગ્રેસ પર વિશ્વાસ કરતી નથી - કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ભાજપે આ રાજ્યને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી. સુરતમાં જે પૂર આવ્યું છે તે માનવસર્જિત પૂર છે, તે ભાજપના ભ્રષ્ટાચારનું પરિણામ છે. યુવાનોને નોકરીઓ નથી મળી રહી. ખેડૂતોને યુરિયા નથી મળી રહ્યું. બધા વર્ગ ભાજપથી નારાજ છે છતાં ભાજપ સતત જીતી રહ્યું છે કારણ કે લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો. બધા જાણે છે કે કોંગ્રેસ તેમના ખિસ્સામાં છે. ગુજરાતની જનતા હવે કોંગ્રેસ પર વિશ્વાસ કરતી નથી.
આ પણ વાંચોઃ Patanjali ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ કોઈપણ નકારાત્મક જાહેરાત પ્રસારિત ન કરે - દિલ્હી હાઈ કોર્ટ