દિલ્હીમાં પ્રચાર પડઘમ શાંત, 5મી ફેબ્રુઆરીએ મતદાન, ECએ એક્ઝિટ પોલ પર આ માર્ગદર્શિકા જારી કરી
- દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો
- 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે
- ECએ 5 ફેબ્રુઆરીએ સવારે 7 થી 6:30 સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો
Delhi Assembly election : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો ચૂંટણી પ્રચાર સોમવારે (3 ફેબ્રુઆરી) સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો. 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પક્ષોના અગ્રણીઓએ જનતાનો સંપર્ક કર્યો હતો. 5 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના 1.56 કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
ક્યાં સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ રહેશે?
ચૂંટણી પંચે 5 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે પણ આ અંગે આદેશ જારી કર્યો છે. ચૂંટણી પંચે તેના આદેશમાં કહ્યું કે, સામાન્ય લોકોનું ધ્યાન, ખાસ કરીને ન્યૂઝ બ્યુરો, મીડિયા હાઉસ, રેડિયો અને ટેલિવિઝન ચેનલો વગેરેનું ધ્યાન 22 જાન્યુઆરી, 2025ની સૂચના નંબર 576/Exit/2025/SDR/Vol-1 તરફ દોરવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચની જોગવાઈ છે કે એક્ઝિટ પોલ, ઓપિનિયન પોલ અથવા અન્ય કોઈપણ ચૂંટણી સર્વેક્ષણના પરિણામો પ્રિન્ટ અથવા ઈલેક્ટ્રોનિક મીડિયામાં અથવા કોઈપણ અન્ય માધ્યમમાં પ્રકાશિત કરવા પર પ્રતિબંધ રહેશે.
મતદાન માટે 13 હજાર 766 મતદાન મથકો
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં મતદાન માટે 13 હજાર 766 મતદાન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 83.76 લાખ પુરૂષ, 72.36 મહિલા અને 1267 ત્રીજા લિંગના મતદારો છે. વિકલાંગ લોકો માટે 733 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : આ છે કળિયુગી ઔલાદ! પ્રોપર્ટી માટે પિતાના મૃતદેહના બે ટુકડા કર્યા
6980 લોકોએ ઘરેથી મતદાન કર્યું
વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા હેઠળ, 7553 લાયક મતદારોમાંથી 6980 તેમના મત આપી ચૂક્યા છે. ઘરેથી મતદાન કરવાની સુવિધા 24 જાન્યુઆરીથી શરૂ થઈ હતી અને 4 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
આચારસંહિતા ભંગના 1000 થી વધુ કેસ નોંધાયા
7 જાન્યુઆરીએ આચારસંહિતા લાગુ થયા પછી, તેના કથિત ઉલ્લંઘનના 1000 થી વધુ કેસ નોંધાયા છે. 33 હજાર 434 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી પંચે દિલ્હીમાં પેરા મિલિટરી ફોર્સની 220 કંપનીઓ તૈનાત કરી છે. 19 હજાર હોમગાર્ડ અને 35 હજાર 626 દિલ્હી પોલીસના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગગડતા રૂપિયાથી સરકારને નથી કોઈ ચિંતા, શું છે કારણ?


