કેન્દ્ર સરકારે 14મી એપ્રિલે જાહેર રજાનું કર્યુ એલાન, બાબાસાહેબ આંબેડકરના માનમાં લીધો નિર્ણય
- 14 એપ્રિલ, 1891ના રોજ મધ્યપ્રદેશના મહુમાં બાબા સાહેબનો જન્મ થયો હતો
- 6 ડિસેમ્બર, 1956ના રોજ બાબા સાહેબનું અવસાન થયું હતું
- બાબાસાહેબે સમાજમાં સમાનતાના નવા યુગની કરી સ્થાપના
- ઔદ્યોગિક મથકો સહિત કેન્દ્ર સરકારની કચેરીઓ રહેશે બંધ
New delhi: કેન્દ્ર સરકારે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર 14 એપ્રિલે જાહેર રજા જાહેર કરી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સરકારના નિર્ણયની માહિતી આપી.
બાબાસાહેબે સમાજમાં સમાનતાના નવા યુગની કરી સ્થાપના
ગજેન્દ્ર સિંહ શેખાવતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હવે આપણા પૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, બંધારણના ઘડવૈયા, જેમણે સમાજમાં સમાનતાના નવા યુગની સ્થાપના કરી, તેમની જન્મજયંતિ પર જાહેર રજા રહેશે." શેખાવતે કહ્યું, "આ નિર્ણય લઈને, બાબા સાહેબના સમર્પિત અનુયાયી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની લાગણીઓનું સન્માન કર્યું છે.
ઔદ્યોગિક મથકો સહિત કેન્દ્ર સરકારની કચેરીઓ રહેશે બંધ
કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા જારી કરાયેલા સરકારી આદેશમાં પુષ્ટિ આપવામાં આવી છે કે 14 એપ્રિલ, 2025ના રોજ આંબેડકર જયંતિ નિમિત્તે ભારતભરના ઔદ્યોગિક મથકો સહિત કેન્દ્ર સરકારની કચેરીઓ બંધ રહેશે. આદેશમાં જણાવાયું છે કે ભારત સરકારના તમામ મંત્રાલયો અથવા વિભાગો આ નિર્ણયને બધાના ધ્યાન પર લાવી શકે છે.
આ પણ વાંચોઃ TVK ચિફ વિજયે DMK અને ભાજપ પર નિશાન સાધ્યુ, વિભાજનકારી નીતિઓ પર આક્રમક પ્રહારો કર્યા
14 એપ્રિલ, 1891ના રોજ મધ્યપ્રદેશના મહુમાં જન્મ
ડૉ. ભીમરાવ આંબેડકરને તેમના અનુયાયીઓ બાબા સાહેબ કહે છે. તેમનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. તેમણે આધુનિક ભારતને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને જીવનભર હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને કચડાયેલા લોકો, ખાસ કરીને દલિતોના અધિકારો માટે લડ્યા હતા. આધુનિક ભારતમાં ડૉ. આંબેડકરના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને યાદ કરવામાં આવે છે. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી હતા.
6 ડિસેમ્બર, 1956ના રોજ પૂણ્યતિથિ (મહાપરિનિર્વાણ દિવસ)
ડૉ. આંબેડકર ડોક્ટરેટની ડિગ્રી મેળવનારા પહેલા ભારતીય હતા. તેઓ 9 ભાષાઓમાં નિપુણ હતા. 6 ડિસેમ્બર, 1956 ના રોજ તેમનું અવસાન થયું. તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા. દર વર્ષે 6 ડિસેમ્બરે તેમની પુણ્યતિથિ પર મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચોઃ Chattisgarh: સુકમાના પહાડોમાં અથડામણ, સુરક્ષા દળોએ 20 નક્સલીઓને ઠાર માર્યા