ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કહ્યું, હું શૂન્ય થઈ ગયો
ઝારખંડના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના અધ્યક્ષ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી શિબુ સોરેનનું નિધન થયું છે. મુખ્યમંત્રી હેમંત સોરેને પોતે તેમના પિતાના અવસાનની પુષ્ટિ કરી છે.
85 વર્ષીય શિબુ સોરેન છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા. જુલાઈના છેલ્લા અઠવાડિયામાં કિડની સંબંધિત સમસ્યાઓના કારણે તેમને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની તબિયત નાજુક હતી અને ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખ્યા હતા.
आदरणीय दिशोम गुरुजी हम सभी को छोड़कर चले गए हैं।
आज मैं शून्य हो गया हूँ...
— Hemant Soren (@HemantSorenJMM) August 4, 2025
ગુરુજી તરીકે હતા પ્રખ્યાત
શિબુ સોરેનના નિધનથી ઝારખંડના રાજકારણમાં એક મોટી ખોટ પડી છે. તેઓ રાજ્યના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક હતા અને આદિવાસી સમાજનો મજબૂત અવાજ બની રહ્યા હતા. તેમને ઝારખંડમાં લોકો પ્રેમથી ‘ગુરુજી’ તરીકે ઓળખતા હતા.
ત્રણ વખત બન્યા હતા મુખ્યમંત્રી
ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક નેતાઓમાંના એક તરીકે, શિબુ સોરેને આદિવાસી અધિકારોની લડાઈમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમણે અલગ ઝારખંડ રાજ્યની સ્થાપના માટેના આંદોલનનું નેતૃત્વ કર્યું અને ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા હતા.
સમગ્ર ઝારખંડમાં શોકનો માહોલ
તેમના નેતૃત્વ હેઠળ, JMM એ આદિવાસી વિસ્તારોમાં સામાજિક અને રાજકીય ચેતનાનો પ્રચાર કર્યો અને રાજ્યને એક નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમના નિધનના સમાચાર ફેલાતાની સાથે જ સમગ્ર ઝારખંડમાં શોકની લહેર ફરી વળી છે. તેમના યોગદાનને આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે.


