Jaipur : કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશના મૃતક પાયલોટ રાજવીર સિંહ ચૌહાણની અંતિમયાત્રામાં અનેક લોકો જોડાયા
- કેદારનાથ હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ પામેલા પાયલોટની અંતિમયાત્રા
- ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા બાદ કોમર્શિયલ એવિયેશનમાં જોડાયા હતા
- મૃતકના પત્ની પણ સેનામાં લેફ્ટનન્ટ કર્નલના પદ પર કાર્યરત છે
- મૃતક થોડા દિવસ પહેલા જ જોડિયા બાળકોના પિતા બન્યા હતા
Jaipur : કેદારનાથ હેલિકોપ્ટર અકસ્માતના મૃતક પાયલોટ રાજવીર સિંહ ચૌહાણ (Rajveer Singh Chauhan) ની આજે જયપુરમાં અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મૃતકના પત્ની પણ સેનામાં લેફ્ટનન્ટ કર્નલના પદ પર કાર્યરત છે. તેણી પોતાના સદગત પતિની તસવીર સાથે રાખીને આ અંતિમયાત્રામાં જોડાયા હતા.
15 વર્ષથી વધુ સમય કરી દેશસેવા
રવિવારે કેદારનાથ રૂટ પર ગૌરીકુંડ નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત લોકોમાં જયપુરના 37 વર્ષીય લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) રાજવીર સિંહ ચૌહાણ (Rajveer Singh Chauhan) નો સમાવેશ થતો હતો. રાજવીર સિંહ ચૌહાણને 2000 કલાકથી વધુનો ફલાઈટ અવર્સનો અનુભવ હતો. તેઓ આર્ટિલરી રેજિમેન્ટ અને આર્મી એવિએશન કોર્પ્સ બંનેમાં સેવા આપી ચૂક્યા હતા. 2009 થી 15 વર્ષથી વધુ સમય સુધી ભારતીય સેનામાં સેવા આપ્યા બાદ, રાજવીર સિંહ ચૌહાણે માત્ર 8 મહિના પહેલા નાગરિક ઉડ્ડયનમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેઓ ઓક્ટોબર 2024 માં હેલિકોપ્ટર સેવા કંપની આર્યન એવિએશન પ્રાઈવેટ લિમિટેડમાં જોડાયા હતા. રવિવારે અકસ્માતમાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ Iran-Israel War : આ સંઘર્ષ વધતો રહેશે તો મધ્ય પૂર્વના દેશો સૌથી પહેલા ભોગ બનશે - ચીન
પત્ની પણ લેફ્ટનન્ટ કર્નલ
સદગત રાજવીર સિંહ ચૌહાણના પત્ની પણ સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે કાર્યરત છે. તેમણે થોડા મહિના પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. Rajveer Singh Chauhan આ ઉજવણી માટે જલ્દી ઘરે પરત ફરવાના હતા. તેમના પિતા ગોવિંદ સિંહ ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન પરિવારને રાજવીરનું હેલિકોપ્ટર ટેકઓફ પછી સવારે 5.30 વાગ્યે ક્રેશ થયું હોવાના આઘાતજનક સમાચાર મળ્યા હતા.
રાજસ્થાનના મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
સદગત રાજવીર સિંહ ચૌહાણને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા (Bhajan Lal Sharma) એ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાજસ્થાનના એક બહાદુર પાયલોટ અને અન્ય ભક્તોનું મૃત્યુ અત્યંત દુઃખદ છે. ભગવાન કેદારનાથ મૃતકોના આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ આપે.
આ પણ વાંચોઃ Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાનું આગમન, જાણો ક્યા છે ધોધમાર વરસાદની આગાહી