દિલ્હીની ચૂંટણીમાં કેજરીવાલની જીત થશે, કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણનો દાવો, કહ્યું - ગઠબંધન હોત તો સારું થાત
- કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મોટું નિવેદન આપ્યું છે
- કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થવું જોઈતું હતું : ચવ્હાણ
- ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ એકલી પડી છે
Prithviraj Chavan's statement : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને દેશભરમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે અને આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મોટું નિવેદન આપ્યું છે. ચવ્હાણે કહ્યું કે, તેમને લાગે છે કે અરવિંદ કેજરીવાલ ત્યાં જીતશે. દિલ્હીના રાજકારણની ચર્ચા કરતી વખતે ચવ્હાણે કોંગ્રેસની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પણ આ ચૂંટણી મેદાનમાં પૂરી તાકાત સાથે ઉતરશે. જો કે, તેમણે સ્વીકાર્યું કે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધન થયું હોત તો તેની અસર વધુ સારી થઈ શકી હોત.
કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થવું જોઈતું હતું
IANSને આપેલા ઈન્ટરવ્યુમાં પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું, “દિલ્હીની ચૂંટણીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મને વિશ્વાસ છે કે કેજરીવાલ ત્યાં જીતશે. કોંગ્રેસ પણ મેદાનમાં છે અને ચૂંટણી લડશે. અફસોસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થવું જોઈતું હતું, પરંતુ એવું થતું જણાતું નથી.
AAP ને સપા અને ટીએમસીનુ સમર્થન
દરમિયાન, અરવિંદ કેજરીવાલને વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના બે મુખ્ય પક્ષો સમાજવાદી પાર્ટી (SP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું સમર્થન મળ્યું છે. સપાના વડા અખિલેશ યાદવે કહ્યું, "જે પણ ભાજપને હરાવે અમે તેની સાથે છીએ. દિલ્હીમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત નથી, તેથી સપા AAPને સમર્થન કરશે." ટીએમસીએ પણ AAPને સમર્થન આપ્યું અને કહ્યું કે તેમને આશા છે કે કેજરીવાલ દિલ્હીમાં ફરીથી સરકાર બનાવશે. TMC નેતા કુણાલ ઘોષે કહ્યું કે, ભાજપનો સફાયો થઈ જશે.
આ પણ વાંચો : 'ઈન્ડિયા ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી પૂરતુ જ હતુ'; તેજસ્વી યાદવે આવું કેમ કહ્યું?
ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ એકલી પડી
કોંગ્રેસ દિલ્હીમાં કોઈપણ ગઠબંધન વગર ચૂંટણી લડી રહી છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને આ વખતે પણ પડકાર મોટો છે. AAPને સપા અને ટીએમસીનું સમર્થન મળ્યા બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે. બીજી તરફ મહાગઠબંધનમાં પણ કોંગ્રેસની નેતાગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. મમતા બેનર્જી, શરદ પવાર અને લાલુ પ્રસાદ યાદવ જેવા નેતાઓનું કહેવું છે કે, મહાગઠબંધનનું નેતૃત્વ કોંગ્રેસમાંથી હટાવીને મમતાને સોંપવું જોઈએ.
દિલ્હીમાં ચૂંટણી ક્યારે?
દિલ્હીની 70 સીટો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. અહીં ભાજપ, AAP અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. ગત વખતે AAPએ જંગી જીત મેળવી હતી, પરંતુ આ વખતે વિપક્ષી એકતાની શું અસર થશે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો : ધનશ્રી સાથે અફેરની અફવા વચ્ચે રૂમર્ડ બોયફ્રેન્ડે કરી મોટી જાહેરાત, વાયરલ ફોટા અંગે કરી સ્પષ્ટતા


