Accident in Madhya Pradesh : મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, 4 ગુજરાતીઓના મોત
- મધ્યપ્રદેશમાં અકસ્માતમાં 4 ગુજરાતીના મોત
- ટ્રાવેલર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત
- મહેસાણા, હળવદના 4 લોકોના મોત, 7 ઘાયલ
- કાશીથી કથા સંપન્ન કરી સંગીતકારો આવતા હતા ગુજરાત
- લંકેશ બાપુની કથા બાદ પરત આવતા નડ્યો અકસ્માત
- મધ્યપ્રદેશના શિવપુરી પાસે વહેલી સવારે થયો અકસ્માત
Accident in Madhya Pradesh : મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે-46 પર બનેલા આ અકસ્માત (Accident) માં 4 ગુજરાતીઓનું મોત થયું છે, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં એક મીની ટ્રાવેલર બસ બેકાબૂ થઈને ડિવાઇડર તોડી સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ અનેક લોકો ઘાયલ થઈ ગયા હતા.
મહેસાણા-હળવદના લોકો પરત ફરી રહ્યા હતા
આ ટ્રાવેલર બસમાં કુલ લગભગ 20 લોકો સવાર હતા. મૃતકોમાં મહેસાણા અને સુરેન્દ્રનગર (હળવદ) જિલ્લાના 4 લોકોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ આ તમામ લોકો વારાણસી (કાશી)માં આયોજિત લંકેશ બાપુની શિવકથા કાર્યક્રમમાં સંગીતકાર તરીકે ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. કથા પૂર્ણ કર્યા પછી પોતાના ગામ તરફ જતા જ શિવપુરી નજીક આ અકસ્માત (Accident) બન્યો હતો.
4નાં મોત, 11 ઘાયલ
સુરવાયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નંદ કિશોર ગુપ્તાએ માહિતી આપતાં જણાવ્યું કે હાલ સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 11 લોકો ઘાયલ છે. ઘાયલોમાંથી 7ની હાલત અત્યંત ગંભીર છે. તમામને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ડૉક્ટરોની ટીમ સતત તેમના પર નજર રાખી રહી છે.
અકસ્માત (Accident) કેવી રીતે બન્યો?
પોલીસ તપાસ મુજબ ટ્રાવેલર બસ વહેલી સવારે સુરવાયા વિસ્તાર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બેકાબૂ થઈ ગઈ. બસ પહેલા ડિવાઇડર સાથે અથડાઈ અને પછી બીજી લેન પર પહોંચી જતાં સામેથી આવી રહેલી ટ્રક સાથે સીધી ટકરાઈ ગઈ. અથડામણમાં ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો.
પોલીસ તપાસ ચાલુ
ઘટનાની જાણ થતાં જ સુરવાયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને અકસ્માતની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તારણ મુજબ ડ્રાઈવરનું નિયંત્રણ છૂટી જવાથી આ દુર્ઘટના બની હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો : West Bengal: બર્ધમાનમાં ભયાનક અકસ્માત, બસ-ટ્રક ટક્કરમાં 10નાં મોત!