Noida ના કૃષ્ણા અપરા પ્લાઝામાં ભીષણ આગ, લોકોએ ઇમારત પરથી છલાંગ લગાવી, 100 લોકોના રેસ્ક્યુ
- કૃષ્ણા અપરા પ્લાઝામાં ભીષણ આગ
- ગ્રાઉન્ડ ફ્લોર પર લગાવેલા ACમાં બ્લાસ્ટ
- ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
- 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા
Fire in Noida: ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર 18માં સ્થિત કૃષ્ણા અપરા પ્લાઝામાં ભીષણ આગ લાગી હતી. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ લાગ્યા પછી, આખી ઇમારતમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે ઘણા લોકો અંદર ફસાયા હતા. લોકો ચીસો પાડવા લાગ્યા. ઘટનાસ્થળે અંધાધૂંધીનો માહોલ હતો.
બચાવ કામગીરી હાથ ધરાઈ
આ દરમિયાન, બચાવ ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને 100 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બચાવ કામગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બચાવકર્મીઓ ક્રેનની મદદથી લોકોને બહાર કાઢી રહ્યા છે. કેટલાક લોકોને દોરડાની મદદથી ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા.
આ પણ વાંચો : Prayagraj માં વધુ 5 મકાનો તોડી પાડ્યા, સુપ્રીમ કોર્ટ નારાજ, પીડિતોને 10-10 લાખનું વળતર આપવાનો આદેશ
ગ્રાઉન્ડ ફ્લોર પર લગાવેલા ACમાં બ્લાસ્ટ
આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે તે જોઈને કેટલાક લોકો ગભરાઈને ઉપરના માળેથી કૂદી પડ્યા હતા અને ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર લગાવેલા ACમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી અને તેનો ધુમાડો આખી ઇમારતમાં ફેલાઈ ગયો. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ અકસ્માતની તપાસ ચાલુ છે. ઉપરાંત, એ પણ જોવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગ પાસે ફાયર NOC હતું કે નહીં.
જોઈન્ટ સીપી શિવ હરિ મીણાએ જણાવ્યું હતું કે, "અમને કૃષ્ણા પ્લાઝા ઈમારતમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. ઈમારતમાંથી ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જે લોકોએ ગૂંગળામણની ફરિયાદ કરી છે તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. બધા માળની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે."
આ પણ વાંચો : Medicines Price Hike: આજથી 900થી વધુ જરૂરી દવાઓની કિંમતમાં વધારો-કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુપ્રિયા