સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી, ઓપરેશન સિંદૂર સહિત અનેક મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
- સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર કરવામાં આવી
- સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાશે
- ચોમાસુ સત્રમાં વીમા સંશોધન બિલ રજૂ કરવામાં આવી શકે છે
Monsoon Session 2025: સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાશે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આગામી ચોમાસુ સત્ર વિશે માહિતી આપી હતી. તેમણે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ તારીખોની ભલામણ કરી છે.
વીમા સંશોધન બિલ રજૂ થઈ શકે
રિજિજુની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે વિપક્ષી નેતાઓ ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે ખાસ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા છે. વિપક્ષની માંગ પર પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે નિયમો હેઠળ, ચોમાસા સત્ર દરમિયાન તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. જાણકારી અનુસાર સંસદના ચોમાસુ સત્રમાં વીમા સંશોધન બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે. આ બિલમાં વીમા ક્ષેત્રમાં FDI મર્યાદા 100 ટકા સુધી વધારવાની તૈયારી છે. મીડિયા અહેવાલો અનુસાર, બિલનો ડ્રાફ્ટ તૈયાર છે અને ટૂંક સમયમાં મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગ સંસદમાં બિલ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.
આ પણ વાંચો : UP માં વીજળી મોંઘી થશે! ગ્રાહકોના ખિસ્સા પર પડશે અસર, પ્રસ્તાવ રજૂ
જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ
સંસદના આગામી ચોમાસુ સત્રમાં, કેન્દ્ર સરકાર દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને હાલમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરાયેલા જસ્ટિસ યશવંત વર્મા સામે પણ મહાભિયોગ પ્રસ્તાવ લાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ આ મામલે તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરશે. માર્ચ મહિનામાં દિલ્હીમાં જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને આગની ઘટના બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જ્યા મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી.
આ પણ વાંચો : AGRA : યમુના નદીમાં રીલ બનાવતી વેળાએ અકસ્માત, 6 યુવતિઓ ડૂબી