PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી
- PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી! મુંબઈ પોલીસ એલર્ટ
- વડાપ્રધાન મોદીને ધમકી આપનાર મહિલાની ધરપકડ, માનસિક રીતે અસ્વસ્થ!
- મુંબઈ પોલીસની તપાસમાં ઝડપી કાર્યવાહી
Death Threat Call : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ ધમકી ફોન પર આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. ધમકીભર્યા કોલ બાદ પોલીસ એલર્ટ મોડ પર છે અને મામલાની તપાસ કરી રહી છે.
ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી!
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ફોન કરનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે આખો પ્લાન બની ગયો છે. હાલ મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધ કરવામાં આવી રહી છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. આ મામલે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને એક મહિલાની ઓળખ કરવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે, ધરપકડની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે. જો કે હાલ આ મામલે તમામ પ્રોટોકોલ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
PM મોદીને 6 વર્ષમાં 3 વખત ધમકીઓ મળી
2023 : હરિયાણામાંથી ગોળી મારી દેવાની ધમકી
હરિયાણાના એક યુવકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગોળી મારી દેવાની ધમકી આપતી વીડિયો બનાવ્યો હતો, જે વાયરલ થયો હતો. તેણે પોતાને હરિયાણાનો બદમાશ અને સોનીપત જિલ્લાના મોહના ગામનો રહેવાસી ગણાવ્યો હતો. વીડિયોમાં યુવકે કહ્યું હતું કે, "જો મોદી મારી સામે આવશે, તો હું તેમને ગોળી મારી દઈશ." આ વીડીયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં રહ્યો હતો.
2022 : પત્ર દ્વારા રાજીવ ગાંધી જેવી હાલત કરવાની ધમકી
વડાપ્રધાન મોદીને 2022માં પણ ધમકી મળી હતી. કેરળમાં BJP અધ્યક્ષ કે. સુરેન્દ્રનને મોકલાયેલા પત્રમાં ધમકી આપનાર ઝેવિયર નામની એક વ્યક્તિએ લખ્યું હતું કે મોદીની હાલત રાજીવ ગાંધી જેવી થશે. તે સમયે PM કેરળની મુલાકાતે જવાના હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી હતી.
2018 : આતંકવાદી સંગઠન સાથે જોડાયેલી ધમકી
2018માં મહારાષ્ટ્રના મોહમ્મદ અલાઉદ્દીન ખાન નામના વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપી હતી. આ વ્યક્તિએ તેના ફેસબુક પેજ પર જણાવ્યું હતું કે તે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સભ્ય છે. તેણે દેશના પાંચ મોટા શહેરોમાં વિસ્ફોટ કરવાની યોજના પણ જાહેર કરી હતી અને ISISના ઝંડાનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ વ્યક્તિની ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ હતી.
આ ઘટનાઓ વડાપ્રધાનની સુરક્ષા માટે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે, અને તમામ ધમકીઓ પર તાકીદે પગલાં લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: "બાબા સિદ્દીકીની જેમ મારી નાખીશું" CM યોગીને ધમકી આપનાર મહિલાની મુંબઈ પોલીસે કરી ધરપકડ


