પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના: ₹24,000 કરોડના ખર્ચે 100 જિલ્લાઓમાં નંખાશે કૃષિ ક્રાંતિનો પાયો
- પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના: ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્યનું નવું પગલું
- પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના: 100 જિલ્લાઓમાં કૃષિ ક્રાંતિનો પાયો
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે લીધેલા એક મહત્વપૂર્ણ નિર્ણયને લઈને આગામી દિવસોમાં ખેડૂતોને ખુબ જ મોટા લાભ થવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે એક ઐતિહાસિક નિર્ણય લઈને "પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના"ને મંજૂરી આપી, જે 2025-26થી શરૂ થઈને આગામી છ વર્ષ માટે દેશના 100 જિલ્લાઓમાં કૃષિ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ યોજના નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમથી પ્રેરિત છે અને દેશમાં પોતાના પ્રકારની પ્રથમ યોજના છે, જે ફક્ત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ યોજના લગભગ 24,000 કરોડ રૂપિયાના બજેટ સાથે 1.7 કરોડ ખેડૂતોને લાભ આપશે. તેનો હેતુ કૃષિ ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા, ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવા, પંચાયત અને બ્લોક સ્તરે લણણી પછીના સંગ્રહને મજબૂત કરવા, સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવા અને ખેડૂતો માટે લાંબા તેમજ ટૂંકા ગાળાના ધિરાણની ઉપલબ્ધતા સરળ બનાવવાનો છે. આ યોજના 2025-26ના બજેટમાં જાહેર કરાયેલા 100 જિલ્લાઓના વિકાસના વચનને પૂર્ણ કરવા માટે રચાઈ છે.
આ યોજના દેશભરના ખેડૂતોને ગરીબીમાંથી બહાર લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જણાવી દઈએ કે, મોદી સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી યોજનામાં ગુજરાતના કેટલા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેની માહિતી હજું સામે આવી શકી નથી. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે એકદમ છેવાડાના ખેડૂતોની સ્થિતિને સુધારવા માટે યોજનાને લાગું કરવામાં આવી છે.
જિલ્લાઓની પસંદગી અને અમલીકરણ
યોજના હેઠળ 100 જિલ્લાઓની પસંદગી ઓછી ઉત્પાદકતા, ઓછી પાકની તીવ્રતા અને ઓછા ધિરાણ વિતરણ જેવા ત્રણ મુખ્ય સૂચકાંકોના આધારે કરવામાં આવશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી જિલ્લાઓની સંખ્યા ચોખ્ખા પાક વિસ્તાર અને કાર્યકારી હોલ્ડિંગના હિસ્સાના આધારે નક્કી થશે. જોકે, દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો એક જિલ્લો પસંદ કરવામાં આવશે, જેથી દેશના દરેક ભાગને આ યોજનાનો લાભ મળે.
આ યોજના 11 વિભાગો, રાજ્ય સરકારોની અન્ય યોજનાઓ અને ખાનગી ક્ષેત્ર સાથે સ્થાનિક ભાગીદારીમાં 36 હાલની યોજનાઓના સંકલન દ્વારા અમલમાં મૂકવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ યોજના ખેડૂતોની આવક અને જીવનધોરણમાં સુધારો લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
દેખરેખ અને આયોજન
યોજનાના અસરકારક અમલીકરણ માટે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સમિતિઓ રચવામાં આવશે. જિલ્લા ધન-ધાન્ય સમિતિ દ્વારા દરેક જિલ્લા માટે કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓની યોજના તૈયાર કરવામાં આવશે, જેમાં પ્રગતિશીલ ખેડૂતો પણ સભ્ય તરીકે સામેલ હશે. આ યોજનાઓ પાક વૈવિધ્યકરણ, પાણી અને જમીનના સ્વાસ્થ્યનું સંરક્ષણ, કૃષિમાં આત્મનિર્ભરતા અને કુદરતી તેમજ કાર્બનિક ખેતીના વિસ્તરણ જેવા રાષ્ટ્રીય લક્ષ્યો સાથે સંરેખિત હશે.
દરેક જિલ્લામાં યોજનાની પ્રગતિનું નિરીક્ષણ 117 મુખ્ય પ્રદર્શન સૂચકાંકો (KPIs) દ્વારા માસિક ધોરણે ડેશબોર્ડ પર કરવામાં આવશે. નીતિ આયોગ આ યોજનાઓની સમીક્ષા અને માર્ગદર્શન આપશે, જ્યારે દરેક જિલ્લા માટે નિયુક્ત કેન્દ્રીય નોડલ અધિકારીઓ નિયમિતપણે પ્રગતિનું મૂલ્યાંકન કરશે.
યોજનાની અસર
આ યોજનાના પરિણામે 100 જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદકતા, મૂલ્યવર્ધન અને સ્થાનિક આજીવિકાનું સર્જન થશે, જે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરશે અને આત્મનિર્ભર ભારતના ધ્યેયને હાંસલ કરવામાં મદદરૂપ થશે. જેમ જેમ આ જિલ્લાઓના સૂચકાંકો સુધરશે, તેમ રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન સૂચકાંકોમાં પણ સુધારો થશે, જે દેશના કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે.
NTPCની ગ્રીન એનર્જીમાં મોટું પગલું
કૃષિ યોજના ઉપરાંત, સરકારે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં જાહેર ક્ષેત્રની કંપની NTPCની રોકાણ મર્યાદા 7,500 કરોડથી વધારીને 20,000 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, NLCILને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે 7,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી NTPC 2032 સુધીમાં 60 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી શકશે, જે દેશના ટકાઉ ઉર્જા લક્ષ્યોને પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો- Gujarat News: સ્વચ્છ સુપર લીગમાં ગુજરાતના શહેરો સામેલ, અમદાવાદ, સુરત અને ગાંધીનગરને પુરસ્કાર એનાયત


