રાહુલ ગાંધીનો OBC મહાસંમેલનમાં દાવો: “મેં OBC સમાજને ન સમજવાની ભૂલ કરી”
નવી દિલ્હી, 24 જુલાઈ 2025: દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસ દ્વારા આયોજિત ‘OBC ભાગીદારી ન્યાય મહાસંમેલન’માં રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું કે UPA સરકાર દરમિયાન OBCની સમસ્યાઓને ન સમજવી તેમની સૌથી મોટી રાજકીય ભૂલ હતી. આ સંમેલનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા.
રાહુલ ગાંધીની OBC લડાઈની પ્રાથમિકતા
રાહુલ ગાંધીએ જણાવ્યું, “મેં દલિત, આદિવાસી, અને મહિલાઓના મુદ્દાઓને સમજવામાં સમય લીધો, પરંતુ OBCની પીડાને ઓળખવામાં મોડું થયું. UPA શાસનમાં જો હું આ સમજી ગયો હોત તો જાતિ ગણના ત્યારે જ થઈ ગઈ હોત.” તેમણે ભારપૂર્વક કહ્યું કે હવે OBCના અધિકારોની લડાઈ તેમની પ્રાથમિકતા છે, અને જાતિ ગણનાથી લઈને આરક્ષણની 50%ની મર્યાદા તોડવા સુધી તેઓ આ લડતને નિર્ણાયક મોડ સુધી લઈ જશે. તેમને પોતાની બહેનનો ઉલ્લેખ કરતાં જનતાને કહ્યું કે, તમે “પ્રિયંકા ગાંધીને પૂછો, રાહુલ ગાંધી જે કંઈ નક્કી કરે પછી તેનાથી પીછે હઠ્ઠ કરે છે?
તેલંગાણાની જાતિ ગણના: ‘રાજકીય સુનામી’
રાહુલે કોંગ્રેસ-શાસિત તેલંગાણાની જાતિ ગણનાને ‘સુનામી’ ગણાવી, જેના આંકડાઓ ચોંકાવનારા છે. તેમણે કહ્યું, “તેલંગાણાના કોર્પોરેટ ઓફિસોમાં OBC, દલિત, અને આદિવાસીની હાજરી નજીવી છે, જ્યારે કરોડોના પેકેજ સવર્ણોના હાથમાં છે.” આ ગણનાએ રાજકીય અને સામાજિક ચર્ચાઓને વેગ આપ્યો છે, અને રાહુલે દાવો કર્યો કે આ આંકડાઓ દેશભરમાં આરક્ષણની નીતિઓ બદલી શકે છે.
LIVE: भागीदारी न्याय सम्मेलन | Talkatora Stadium, New Delhi https://t.co/usCMQDwp1a
— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2025
RSS અને PM મોદી પર પ્રહાર
રાહુલે PM નરેન્દ્ર મોદીને “માત્ર પ્રચારનો શો” ગણાવ્યા અને કહ્યું, “મોદી કોઈ મોટી સમસ્યા નથી, તેમની પાછળની અસલી શક્તિ RSS છે.” તેમણે OBC સમુદાયને સીધું સંબોધતા કહ્યું, “RSS એ OBCનો સૌથી મોટો દુશ્મન છે, જે સામાજિક ન્યાયની વિરુદ્ધમાં કામ કરે છે.” તેમણે દાવો કર્યો કે જાતિ ગણના બાદ આરક્ષણની 50%ની મર્યાદા આપોઆપ તૂટી જશે, જેનું ઉદાહરણ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પૂરું પાડ્યું છે.
સિદ્ધારમૈયાનું નિવેદન
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સંમેલનમાં કહ્યું, “આ ભાગીદારી ન્યાય સંમેલન ફક્ત રાજકીય નથી, પરંતુ ભારતના પછાત અને વંચિત વર્ગોની સામૂહિક પોકાર છે.” તેમણે ડૉ. આંબેડકરના ‘ન્યાય એ રાષ્ટ્રની આત્મા’ના કથનને ટાંકીને કહ્યું, “ભારતનું સામાજિક માળખું ન્યાય પર નહીં પણ બહિષ્કાર પર આધારિત હતું. ઉત્પાદક વર્ગો, ખાસ કરીને પછાત વર્ગોને શિક્ષણ, જમીન, અને નેતૃત્વથી વંચિત રાખવામાં આવ્યા. આ RSS-ભાજપની વિચારધારા આ અન્યાયને ગૌરવ આપે છે.”
ગુજરાતમાં ઓબીસીની નોંધપાત્ર વસ્તી
ગુજરાત જ્યાં OBC સમુદાયની વસ્તી નોંધપાત્ર છે, ત્યાં આ સંમેલનની ચર્ચાઓએ રાજકીય ગરમાવો લાવ્યો છે. ગુજરાતમાં પટેલ, ઠાકોર, અને ચૌધરી જેવા OBC સમુદાયો રાજકીય અને સામાજિક રીતે સક્રિય છે. X પરની એક પોસ્ટમાં એક ગુજરાતી યુઝરે લખ્યું, “રાહુલ ગાંધીનું OBC પર ફોકસ ગુજરાતના પછાત વર્ગો માટે આશાનું કિરણ છે, પરંતુ શું તેઓ ખરેખર આરક્ષણની મર્યાદા તોડી શકશે?” ગુજરાતમાં 2015ના પટેલ આંદોલન બાદ OBC આરક્ષણનો મુદ્દો સંવેદનશીલ બન્યો છે, અને જાતિ ગણનાની માંગ અહીં પણ વધી રહી છે.
ગુજરાતના OBC સમુદાયો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, શિક્ષણ અને નોકરીઓમાં વધુ ભાગીદારીની આશા રાખે છે. રાહુલનું આ નિવેદન ગુજરાતના OBC યુવાનો અને રાજકીય કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની શકે છે, જે 2027ની વિધાનસભા ચૂંટણીઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ગુજરાત સરકારે પણ OBC આરક્ષણ અને જાતિ ગણના પર વધુ પારદર્શક નીતિ અપનાવવાની જરૂર છે, જેથી સામાજિક ન્યાયની ખાતરી થાય.
આ પણ વાંચો- બિહાર મહાકૌભાંડ: કેગે પૂછ્યું નીતિશના રાજમાં ₹70 હજાર કરોડ ક્યાં ખર્ચ થયા?


