Gondal : માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને ચણાની રેકોર્ડબ્રેક આવક, જાણો કેટલા બોલાયા ભાવ?
- Gondal માર્કેટિંગ યાર્ડ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું
- યાર્ડ બહાર અંદાજે 1600 જેટલા વાહનોની નોંધણી થઈ
- હરાજીમાં ઘઉંનાં 20 કિલોનાં રૂપિયા 470 થી 650 સુધીનો ભાવ બોલાયો
- દેશી ચણાનાં 20 કિલોનાં રૂપિયા 900 થી 1050 સુધીનો ભાવ બોલાયો
Rajkot : સૌરાષ્ટ્રનું અગ્રીમ તથા ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) વિવિધ જણસીની સિઝન પ્રમાણે વિપુલ પ્રમાણમાં આવક નોંધાતી હોય છે. ત્યારે આજરોજ ગોંડલ યાર્ડમાં ઘઉં તથા ચણાની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. ઘઉંના 1.25 લાખ કટ્ટાની જ્યારે દેશી ચણા તથા સફેદ ચણાનાં 70 થી 80 હજાર કટ્ટાની આવક થવા પામી હતી.
આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદમાં બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત, પોલીસ પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ
યાર્ડ બહાર 1600 વાહનોની નોંધણી!
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) ઘઉં તથા ચણાની આવક થતાં ગઈકાલથી જ યાર્ડ બહાર ખેડૂતો જણસી ભરેલ વાહનો લઈને આવી પહોંચ્યા હતા અને અંદાજે 1600 જેટલા વાહનોની નોંધણી થવા પામી હતી. આજરોજ થયેલ હરાજીમાં ઘઉંનાં 20 કિલોનાં રૂપિયા 470 થી 650 સુધીનો ભાવ બોલાયો હતો. જ્યારે, ચણામાં દેશી ચણાનાં 20 કિલોનાં રૂપિયા 900 થી 1050 સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો. યાર્ડનાં સત્તાધીશો દ્વારા ઘઉં તથા ચણાની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી નવી આવક સદંતર બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો - સુનિતા વિલિયમ્સના ભાઈ દિનેશ રાવલ Gujarat First સાથે ખાસ વાતચીત કરતા થયા ભાવુક, જાણો શું કહ્યું
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો જણસી વેચવા આવ્યા
ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં ડિરેક્ટર પ્રફુલભાઈ (બાવભાઈ) ટોળીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી (Saurashtra) ખેડૂતો પોતાની મહામહેનતે પકાવેલો પાક વેચવા માટે ગોંડલ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે. ગોંડલ યાર્ડમાં રાજકોટ, જુનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિતનાં જિલ્લાઓમાંથી ખેડૂતો અહીં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસી લઈને આવી પહોંચે છે. અહીં યાર્ડમાં ખેડૂતોને દરેક જણસીનો સિઝન પ્રમાણે હરાજીમાં સારો ભાવ મળતો હોય છે અને જણસી વેચવા આવેલ દરેક ખેડૂત હસતા મોઢે પરત ફરે એજ અમારા માટે આનંદની વાત છે. વધુમાં પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે, હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) વિવિધ જણસીઓની આવક સાથે ભરાય જવા પામ્યું છે. આવકની સાથે જણસીનું વેચાણ પણ ચાલુ છે. આગામી દિવસોમાં તમામ જણસીનું વેચાણ પણ થઈ જશે પરંતુ, તારીખ 26 માર્ચ થી 31 માર્ચ સુધી માર્ચ એન્ડિંગ હિસાબે 6 દિવસની રજા આવતી હોય, જેથી દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે યાર્ડ સત્તાધીશો દ્વારા આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ઘઉં તથા ચણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - India: 28 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશના MLAની સંપત્તિ, શિક્ષણ અંગે જાણો માહિતી


