વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, માંડ બચ્યા ત્રણ લોકો, નશામાં હોવાનું સામે આવ્યા બાદ ધરપકડ |
મણીનગર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે..ચારેય નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. નશાની હાલતમાં આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. કાર ચલાવનાર મુખ્ય આરોપી સામે ઇસનપુર ટ્રાફિક પોલીસ ફરિયાદ નોંધાઇ. કારમાં સવાર અન્ય ત્રણ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ
અમદાવાદના મણીનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે ગઈકાલે રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને ઈજા પહોંચી હતી અને તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં કાર ચાલક સહિત ત્રણ નબીરાઓને સ્થાનિકોએ દબોચીને પોલીસને સોંપ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. જે બાદ ડ્રિંક એન્ડ ડ્રાઇવ મામલે પોલીસે તપાસ તેજ કરી છે.
અકસ્માતની ઘટનામાં બચેલા અને પ્રત્યક્ષદર્શીએજણાવ્યું કે, ગઇકાલે રાત્રે મારો નવો જન્મ થયો એવું લાગ્યું છે. જો હું સમયસર બાંકડા પરથી દૂર ન ગયો હોત તો મારું મોત નક્કી થઈ ગયું હોત. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, હવે ડર લાગવા લાગ્યો છે. ત્રણ નબીરાઓએ રાત્રીના સમયે સીયાઝ કારમાં પૂરપાટે આવી અક્સ્માત સર્જ્યો હતો. અકસ્માત કરનાર વાહનચાલકની કારમાંથી દારૂની બોટલો પણ મળી છે.




