ભુજ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
અહવાલ : કૌશિક છાયા
કચ્છ જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજરોજ ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇ મંદિરે દર્શનનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના ઉપમંહત શ્રી ભગવતજીવનદાસજી એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આવકાર આપ્યો હતો.
મંદિરની મુલાકાત બાદ સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું ફૂલોના હાર તેમજ કચ્છી શાલથી સ્વાગત સન્માન કર્યું હતું. આ મુલાકાત વેળાએ મંદિરના ટ્રસ્ટી જાદવજીભાઇ ગોરસીયાએ હાલમાં જ સંપન્ન થયેલ શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની વિસ્તૃત માહિતી આપી અને મંદિર દ્વારા થઇ રહેલા પ્રાકૃતિક ખેતી, સેવાકીય તેમજ ધાર્મિક પ્રકલ્પો અંગે જાણકારી આપી હતી.
મુખ્યમંત્રીની આ મુલાકાત વેળાએ પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા, કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલ સાથે જોડાયા હતા. આ વેળાએ પાર્ષદવર્ય જાદવજી ભગત, ધર્મચરણદાસજી, કોઠારી મૂળજીભાઇ શીયાળી, ઉપકોઠારી જાદવજીભાઇ ગોરસીયા, સલાહકાર ટ્રસ્ટી રામજીભાઇ વેકરીયા, ટ્રસ્ટી રાજુભાઇ દવે સહિત અન્ય સંતો તેમજ કચ્છ સમાહર્તા અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.




