Ponzi Scam : દક્ષિણ ભારતીય અભિનેતા પ્રકાશ રાજને પૂછપરછ માટે ED નું સમન્સ
દક્ષિણ ભારતીય અભિનેતા પ્રકાશ રાજને ED એ સમન્સ મોકલી પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ અભિનેતા પ્રકાશ રાજને ત્રિચી સ્થિત જ્વેલર્સ જૂથ વિરુદ્ધ પોન્ઝી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
પ્રકાશ રાજ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે
તમને જણાવી દઈએ કે પ્રણવ જ્વેલર્સની જાહેરાત પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ કરે છે. આ જ કારણ છે કે જ્વેલર્સ પર દરોડા પછી તપાસ એજન્સીએ હવે પ્રકાશ રાજને નોટિસ મોકલી છે.
પ્રણવ જ્વેલર્સ 100 કરોડ લઈને ભાગી ગયો હતો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ત્રિચીની આર્થિક અપરાધ શાખાની તપાસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર બાદ પ્રણવ જ્વેલર્સ વિરુદ્ધ PMLA હેઠળ કેસ નોંધ્યો હતો. આ એફઆઈઆરમાં એવો આરોપ છે કે પ્રણવ જ્વેલર્સે લોકોને જંગી વળતરનું વચન આપીને પોન્ઝી સ્કીમ (ગોલ્ડ સ્કીમ)માં લગભગ 100 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ બાદમાં પ્રણવ જ્વેલર્સ ફરી ગયું હતું અને તમિલનાડુના તમામ શોરૂમ રાતોરાત બંધ કરી દીધા હતા. પ્રણવ જ્વેલર્સના ચેન્નાઈ, ઈરોડ, નાગરકોઈલ, મદુરાઈ, કુંભકોનમ અને પુડુચેરી જેવા શહેરોમાં મોટા શોરૂમ હતા જ્યાં લોકોએ આ ગોલ્ડ સ્કીમમાં 1 લાખથી 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ પાછળથી બધા સાથે છેતરપિંડી થઈ હતી.
11 કિલો 60 ગ્રામ સોનાના દાગીના જપ્ત
ગોલ્ડ સ્કીમ દ્વારા જનતા પાસેથી એકત્ર કરાયેલા 100 કરોડ રૂપિયાનું રોકાણ અનેક શેલ કંપનીઓમાં કર્યું હતું, જેની માહિતી EDના હાથમાં આવી છે. ED અનુસાર, તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે પ્રણવ જ્વેલર્સ અને તેની સાથે સંકળાયેલા લોકોએ છેતરપિંડીથી મેળવેલા પૈસા અન્ય શેલ કંપનીમાં ડાયવર્ટ કર્યા હતા.
બુધવારે પ્રણવ જ્વેલર્સના પરિસરમાં દરોડા
જે બાદ બુધવારે પ્રણવ જ્વેલર્સના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના ત્રિચીના પ્રસિદ્ધ પ્રણવ જ્વેલર્સમાં PMLA હેઠળ સર્ચ ઓપરેશન દરમિયાન એવા ઘણા દસ્તાવેજો મળી આવ્યા હતા, જેમાં લગભગ 23 લાખ 70 હજાર રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોની માહિતી મળી હતી. એટલું જ નહીં EDએ સર્ચ દરમિયાન 11 કિલો 60 ગ્રામ સોનાના દાગીના પણ જપ્ત કર્યા છે.
આ પણ વાંચો---PM MODI પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રાહુલ ગાંધીને ચૂંટણી પંચની નોટિસ


