ગુજરાત સહિત દિલ્હી અને ઉત્તર ભારતમાં આજથી ભારે વરસાદની આગાહી
ગુજરાત (Gujarat) સહિત રાજધાની દિલ્હી (Delhi) અને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આજથી ભારે વરસાદ (Heavy rain)ની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ગુજરાતમાં 23 જુલાઇ સુધી વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે...
Advertisement
ગુજરાત (Gujarat) સહિત રાજધાની દિલ્હી (Delhi) અને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આજથી ભારે વરસાદ (Heavy rain)ની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ગુજરાતમાં 23 જુલાઇ સુધી વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદમાં 19 અને 20 જુલાઇએ ભારે વરસાદની આગાહી છે.
ઉત્તર ભારતમાં પણ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં પણ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદથી કોઈ રાહત મળશે નહીં. હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
હિમાચલ-ઉત્તરાખંડમાં પણ વરસાદની આગાહી
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. સોમવારે કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. એટલું જ નહીં રાજ્યમાં સતત હળવાથી ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં 720 રસ્તાઓ બંધ છે, જ્યાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. સ્થાનિક હવામાન કચેરીએ 21 જુલાઈ સુધી રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ માટે 'યલો એલર્ટ' જારી કર્યું છે અને 23 જુલાઈ સુધી વધુ વરસાદની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 18 અને 19 જુલાઈએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
આજે દિલ્હીમાં યલો એલર્ટ
રાજધાની દિલ્હી પણ આ સમયે પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહી છે, જ્યારે હવામાન વિભાગે મંગળવારે શહેરમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મંગળવાર માટે 'યલો' એલર્ટ જારી કર્યું છે, જેમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
હરિયાણામાં વરસાદને કારણે 4 લોકોના મોત
સોમવારે હરિયાણામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ ચાર લોકોના મોત થયા છે. વધુ ચાર લોકોના મોત સાથે રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 34 થયો છે. અંબાલા, ફતેહાબાદ, ફરીદાબાદ, કૈથલ, કરનાલ, કુરુક્ષેત્ર, પાણીપત, પંચકુલા, પલવલ, સિરસા, સોનીપત અને યમુનાનગર પૂરથી પ્રભાવિત થયા છે.
ઉત્તર પ્રદેશની નદીઓમાં પણ પૂર
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે રાજ્યની નદીઓમાં પૂર આવ્યું છે અને રાજ્યના 10 જિલ્લાના 396 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. આ 10 જિલ્લામાં અલીગઢ, બિજનૌર, ફરુખાબાદ, ગૌતમ બુધ નગર, ગાઝિયાબાદ, મથુરા, મેરઠ, મુઝફ્ફરનગર, સહારનપુર અને શામલીના કુલ 396 ગામોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે.


