Best Teacher Award 2025 : ડીંગુચાના શિક્ષિકા જિજ્ઞાસા પ્રજાપતિને 'શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર' થશે એનાયત,જાણો તેમની અનોખી સિદ્ધી
- ડીંગુચાની શિક્ષિકાને એનાયત થશે 'શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-2025' (Best Teacher Award 2025 )
- રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીમાં અપાશે ગૌરવપૂર્ણ પુરસ્કાર
- 2007થી જિજ્ઞાસાબેન પ્રજાપતિ શિક્ષિકા તરીકે બજાવે છે ફરજ
- કોરોના દરમિયાનના લેકચર ડીડી ગિરનાર પર થયા હતા પ્રસારિત
Best Teacher Award 2025 : ડીંગુચા પ્રાથમિક શાળાના શિક્ષિકા જિજ્ઞાસા પ્રજાપતિને શૈક્ષણિક ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 'શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-2025' થી સન્માનિત કરવામાં આવશે. 5 સપ્ટેમ્બરના રોજ 'રાષ્ટ્રીય શિક્ષક દિવસ'ની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને આ ગૌરવપૂર્ણ પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.
વર્ષ 2007થી ડીંગુચા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષિકા તરીકે કાર્યરત જિજ્ઞાસા પ્રજાપતિ, બાળકોને ભણાવવા માટે હંમેશા નવીન પદ્ધતિઓ, ટેકનોલોજી અને શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરે છે. કોરોના મહામારી દરમિયાન જ્યારે શાળાઓ બંધ હતી, ત્યારે પણ તેમણે વિદ્યાર્થીઓનું ભણતર અટકે નહીં તે માટે હોમલર્નિંગની સામગ્રી તૈયાર કરી ઘરે-ઘરે જઈને બાળકોને ભણાવ્યા હતા.
આ સમયગાળામાં ઓનલાઈન શિક્ષણની મર્યાદાઓ હોવા છતાં, તેમણે દરેક વિદ્યાર્થી સુધી વ્યક્તિગત રીતે પહોંચવાનો પ્રયાસ કર્યો. તેમનું આ સમર્પણ જ દર્શાવે છે કે તેઓ માત્ર શિક્ષક નથી, પણ બાળકોના સાચા માર્ગદર્શક છે.
Teacher's Day Gujarat
ટીવી અને મોડ્યુલ લેખન દ્વારા લાખો બાળકોને લાભ (Best Teacher Award 2025 )
જિજ્ઞાસાબેનનું કાર્ય માત્ર તેમની શાળા પૂરતું સીમિત નથી. કોરોનાકાળ દરમિયાન, સમગ્ર શિક્ષા-ગાંધીનગર દ્વારા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે ડીડી ગિરનાર ચેનલ પર પ્રસારિત થયેલા કુલ 77 જેટલા વીડિયો એપિસોડ તૈયાર કરવામાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તેમણે 'વિદ્યાપ્રવેશ-શિક્ષક આવૃત્તિ', 'વિદ્યાપ્રવેશ-વિદ્યાર્થી પ્રવૃત્તિપોથી' જેવા અનેક અભ્યાસક્રમ અને મોડ્યુલોનું લેખન અને સમીક્ષા કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા ઘણા વિદ્યાર્થીઓએ PSE, NMMS, CET, જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી છે, જે તેમના શિક્ષણની ગુણવત્તાનો પુરાવો છે.
સમાજસેવા અને જનજાગૃતિ
જિજ્ઞાસાબેનનું કાર્ય માત્ર શૈક્ષણિક જ નથી, પણ સામાજિક પણ છે. તેમણે ગામના લોકોમાં વ્યસનમુક્તિ અને અંધશ્રદ્ધા નિવારણ માટે જાગૃતિ અભિયાનો અને નાટકોનું આયોજન કર્યું છે. તેમના પ્રયાસોને કારણે ગામમાં લોકો અંધશ્રદ્ધા છોડીને દીકરીઓને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત થયા છે.
Dingucha Primary School
20 લાખથી વધુનું દાન
લોકભાગીદારી દ્વારા શાળા માટે રુ.20 લાખથી વધુનું દાન એકત્ર કરીને, તેમણે શાળાને પ્રોજેક્ટર અને અન્ય શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ કરી છે.જિજ્ઞાસા પ્રજાપતિનું આ કાર્ય દર્શાવે છે કે એક શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, પણ જીવનના મૂલ્યો પણ આપી શકે છે. તેમનું આ યોગદાન રાષ્ટ્રનિર્માણ અને સમાજ કલ્યાણ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.
આ પણ વાંચો : Shaheri Vikas Varsh : શહેરી વિકાસ કામોને હવેથી વહીવટી સરળતાથી વેગવંતી બનાવાશે


