ભારત-પાકિસ્તાન લિજેન્ડ મેચ રદ, શિખર ધવને કહ્યું- 'આજે પણ તે પગલાં ઉપર અડગ છું
- ભારત-પાકિસ્તાન લિજેન્ડ મેચ રદ, શિખર ધવન બોલ્યા- 'આજે પણ તે જ પગલાં ઉપર અડગ છૂં
ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (ડબ્લ્યુસીએલ) ચર્ચામાં આવી ગઈ છે, અને તેની ચર્ચાનું કારણ બન્યું છે ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચેની મેચ.
આ ખાનગી ટી-20 ક્રિકેટ લીગમાં છ ટીમો સામેલ છે, જેમાં વિશ્વના વિવિધ દેશોના ભૂતપૂર્વ ક્રિકેટરો રમે છે. આ ક્રિકેટ લીગમાં રવિવારે ભારતીય સમય મુજબ રાત્રે નવ વાગે એજબેસ્ટન ખાતે ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાવાની હતી, પરંતુ તે પહેલાં જ આ મેચ રદ કરવામાં આવી છે.
મીડિયા અહેવાલો અનુસાર, પહેલગામ હુમલા અને ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ઘણા ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી આ મેચ રદ કરવાનો નિર્ણય લેવાયો.
આ મામલે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને પોતાના એક્સ એકાઉન્ટ પર સ્પષ્ટ જણાવ્યું કે તેઓ આ લીગમાં પાકિસ્તાન સામે કોઈ મેચ નહીં રમે.
શું છે સમગ્ર મામલો?
ડબ્લ્યુસીએલે રવિવારે સવારે પોતાના એક્સ એકાઉન્ટ પર એક નિવેદન શેર કર્યું, જેમાં જણાવાયું કે ભારત અને પાકિસ્તાનની મેચ રદ કરવામાં આવી છે.
આ નિવેદનમાં લીગે એમ પણ કહ્યું કે તેમનો 'ઇરાદો ભારતીય ક્રિકેટ દિગ્ગજોને અસહજ કરવાનો નહોતો', તેઓ ફક્ત વિશ્વભરના લોકો માટે કેટલીક ખુશીની યાદો બનાવવા ઇચ્છતા હતા. આ ઉપરાંત, નિવેદનમાં તેમણે એવા લોકોની માફી પણ માંગી જેમની લાગણીઓ આનાથી દુભાઈ હતી.
આ નિવેદન પહેલાં મોડી રાત્રે શિખર ધવને એક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે એક ઇમેઇલનું સ્ક્રીનશોટ શેર કર્યું હતું. આ સાથે શિખર ધવને કેપ્શનમાં લખ્યું હતું, "જે કદમ 11 મેના રોજ લીધું હતું, તેના પર આજે પણ એ જ રીતે ઊભો છું. મારો દેશ મારા માટે બધું છે અને દેશથી મોટું કશું નથી."
ઇમેઇલના સ્ક્રીનશોટમાં જણાવાયું હતું કે 11 મે 2025ના રોજ શિખર ધવને સૂચિત કર્યું હતું કે તેઓ આગામી ડબ્લ્યુસીએલ લીગમાં પાકિસ્તાન સામે કોઈ મેચમાં ભાગ નહીં લે. આ ઉપરાંત, ઇમેઇલમાં લખ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ભૂરાજનીતિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો.
સ્પોન્સરે પણ હાથ પાછા ખેંચ્યા
ઓનલાઇન ટ્રાવેલ કંપની ઇઝ માય ટ્રિપે પણ મોડી રાત્રે એક્સ પર નિવેદન જારી કરીને જણાવ્યું કે તે પાકિસ્તાન સામેની કોઈ પણ ડબ્લ્યુસીએલ મેચમાં ભાગ નહીં લે.
કંપનીના સત્તાવાર નિવેદનમાં કહેવાયું, "બે વર્ષ પહેલાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ સાથે પાંચ વર્ષનો સ્પોન્સરશિપ કરાર કર્યો હોવા છતાં ઇઝ માય ટ્રિપે સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાન સાથે સંકળાયેલી કોઈ પણ મેચને સમર્થન કે ભાગ નહીં લે."
"અમે ગર્વથી ઇન્ડિયા ચેમ્પિયન્સનું સમર્થન ચાલુ રાખીએ છીએ અને અમારી ટીમ સાથે મજબૂતીથી ઊભા છીએ. પરંતુ સિદ્ધાંત તરીકે અમે એવી કોઈ મેચનું સમર્થન કે પ્રચાર નથી કરતા જેમાં પાકિસ્તાન સામેલ હોય."
કંપનીએ જણાવ્યું કે તેણે આ નિર્ણય ડબ્લ્યુસીએલ ટીમને શરૂઆતથી જ સ્પષ્ટપણે જણાવી દીધું હતુ. ઇઝ માય ટ્રિપે ફરી દોહરાવ્યું કે તે ફક્ત ટીમ ઇન્ડિયાને સમર્થન આપે છે અને પાકિસ્તાન સામેની કોઈ પણ મેચમાં ભાગ નહીં લે. નિવેદનના અંતમાં કંપનીએ લખ્યું, "ચાલો કપ ઘરે લાવીએ. ભારત હંમેશા પ્રથમ."
કયા-કયા ખેલાડીઓની ચર્ચા થઈ રહી છે?
ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્ડિયા ચેમ્પિયન્સમાં સામેલ હરભજન સિંહ, સુરેશ રૈના અને યૂસુફ પઠાણ જેવા ખેલાડીઓએ સૌપ્રથમ મેચમાંથી પોતાને બહાર રાખ્યા હતા.
હરભજન સિંહ રાજ્યસભા અને યૂસુફ પઠાણ લોકસભા સાંસદ છે. બીજી તરફ ટીમમાં સામેલ યુવરાજ સિંહે ઇઝ માય ટ્રિપના એક્સ પર આપેલા નિવેદનને શેર કર્યું છે.
આ લીગની વાત કરીએ તો તેની વેબસાઇટ અનુસાર તેના સીઇઓ અને ફાઉન્ડર હર્ષિત તોમર છે, જે રેપર પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, કો-ફાઉન્ડર તરીકે વેબસાઇટ પર અભિનેતા અજય દેવગનનું નામ પણ નોંધાયેલું છે.
આ લીગની આ બીજી સિઝન છે. ગયા વર્ષે યોજાયેલી પહેલી સિઝનમાં ઇન્ડિયા ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન ઉપરાંત આ લીગમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ, ઇંગ્લેન્ડ ચેમ્પિયન્સ, સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ અને વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન્સ સામેલ છે.
22 એપ્રિલના પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ થયો હતો અને ત્રણ દિવસ સુધી ચાલેલા આ સંઘર્ષ બાદ 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો.


