AAP MLA ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય, હડદડ ગામના ખેડૂતોને આપશે પોતાનો પગાર
- AAP : પોલીસે ગામમાં તોડફોડ કરીને અનેક ઘરમાં નુકસાન કર્યું છે: ગોપાલ ઇટાલીયા
- ફુલ નહીં તો ફૂલની પાંખડી આપીને હું ખેડૂતોને મદદ કરવા માંગુ છું
- તહેવારના સમયમાં ખેડૂતોને સહાય કરવા માટે મેં પગાર આપવાનું નક્કી કર્યું છે
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં હડદડ ગામના ખેડૂતોને પોતાનો પગાર આપશે. પોલીસે ગામમાં તોડફોડ કરીને અનેક ઘરમાં નુકસાન કર્યું છે તેવું ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું છે. ફુલ નહીં તો ફૂલની પાંખડી આપીને હું ખેડૂતોને મદદ કરવા માંગુ છું. તહેવારના સમયમાં ખેડૂતોને સહાય કરવા માટે મેં પગાર આપવાનું નક્કી કર્યું છે. ખેડૂતોના મતથી જીતેલા એક ધારાસભ્ય તરીકે ખેડૂતો પ્રત્યે અમારી સંવેદના, જવાબદારી અને ફરજ છે.
પોલીસ-AAP વચ્ચે ઘર્ષણ મામલે હડદડ ઘટનાના 65 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ
બોટાદના હડદડ ગામે પોલીસ-AAP વચ્ચે ઘર્ષણ મામલે હડદડ ઘટનાના 65 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે. જેમાં 65 પૈકી 18 આરોપીઓના પોલીસે રિમાન્ડ માગ્યા હતા. તથા 18 આરોપીઓના 20 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર છે. 65 પૈકી 47 આરોપીઓને જેલના હવાલે કરાયા છે. તથા 85 પૈકી 65 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
જાણો સમગ્ર મામલો
એપીએમસીમાં હરાજીના માધ્યમથી એકવાર કપાસના ભાવ નક્કી થઈ ગયા બાદ કપાસ ખરીદનાર વેપારી ખેડૂત જયારે ખેડૂત વેપારીની જીનિંગ ફેકટરી કે ગોડાઉને કપાસ ઠાલવવા જાય ત્યારે વેપારી કપાસની ગુણવત્તા બાબતે ફરિયાદ કરી ભાવમાં ઘટાડો કરે તેને કદડો કહેવાય છે. આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટના કિસાન પાંખના પ્રમુખ રાજુ કરપડા આ કદડા પ્રથા તેમ જ ખેડૂતોના ખર્ચે બોટાદ યાર્ડમાંથી વેપારીની ફેક્ટરી સુધી કપાસ પહોંચાડવાના ભાડાનો બોજ ખેડૂતો પર છે તેનો વિરોધ કરી રહ્યા છે.
પોલીસ કાફલો આવી પહોંચતા પોલીસ પર પથ્થરમારો થયો
આ આંદોલનના ભાગરૂપે રાજુ કરપડા હડદડ ગામના બાપા સીતારામ ચોકમાં રવિવારે સાંજે પાંચેક વાગ્યે એક સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે ત્યાં પોલીસ કાફલો આવી પહોંચતા પોલીસ પર પથ્થરમારો થયો હતો અને પોલીસના કહેવા અનુસાર પાંચ પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી. ત્યાર બાદ ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટિયરગેસ છોડતા દોડધામ મચી જવા પામી હતી. હિંસક બનેલા ટોળામાંથી સંખ્યાબંધ લોકોને ચોકમાંથી જ પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા અને આ કાર્યવાહી રાતના નવેક વાગ્યા સુધી ચાલી હતી. જોકે બાપા સીતારામ ચોકમાં રહેતા કેટલાક પરિવારોએ ફરિયાદ કરી કે તેમનાં ઘર બાપા સીતારામ ચોક વિસ્તારમાં હોવાથી તેમના પરિવારના જે સભ્યો સભામાં પણ ગયા ન હતા કે હિંસામાં કોઈ ભૂમિકા ન હતી તેમને પણ પોલીસ ઘરની અંદર ઘૂસીને અટકાયત કરીને લઈ ગઈ છે.
આ પણ વાંચો: Cough Syrup: વડોદરામાં બાળકોને અપાતી કફ સીરપ કેસમાં મોટો ખુલાસો


