Ad Man Piyush Pandey : એક સર્જક, જેણે જાહેરાતને જીવનની કવિતા બનાવી
- Ad Man Piyush Pandey : ભારતની ભાષામાં વાત કરનાર એડમેન: પિયુષ પાંડે. એક સર્જક, જેણે જાહેરાતને જીવનની કવિતા બનાવી
- ભારતીય જાહેરાતના આકાશમાં નવો સૂરજ ચમકાવનાર અને દેશની ધબકતી લાગણીઓને શબ્દોનું રૂપ આપનાર અસાધારણ સર્જક પિયૂષ પાંડે હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા.
Ad Man Piyush Pandey : પિયુષ પાંડે માત્ર એડવર્ટાઇઝિંગનું નામ નહોતા, પરંતુ ભારતના હૃદયના અનુવાદક હતા. તેઓ એવા કથાકાર હતા, જેમણે ભારતની ધરતીની બોલી, તેના સ્વાદ અને સંસ્કૃતિની સુગંધને જાહેરાતના કેનવાસ પર ઉતારી. જ્યારે વિશ્વની એજન્સીઓ ચમકદાર અંગ્રેજી શબ્દો અને વિદેશી દ્રશ્યો સાથે ‘ગ્લોબલ’ બનવાની દોડમાં હતી, ત્યારે પિયુષે બતાવ્યું કે સાચી જાહેરાત તો ત્યારે જીવે છે, જ્યારે તે લોકોના હૃદયની ભાષામાં બોલે.
Ad Man Piyush Pandey-પશ્ચિમપ્રેરિત માળખાથી ભારતીય આત્માની તરફ
1982માં જ્યારે પિયુષ પાંડેએ Ogilvy & Matherમાં પોતાની સફર શરૂ કરી, ત્યારે ભારતીય જાહેરાતનું વિશ્વપશ્ચિમના ચળકતા ઢાંચામાં ખોવાયેલું હતું. સફેદ કોલરવાળા મોડેલ્સ, વિદેશી ઉચ્ચારોનો લટકો અને ભડકાઉ સ્લોગન્સ—એ બધું ભારતના સામાન્ય માનવીના જીવનથી કોસો દૂર હતું. પિયુષે આ અંતરને પુલની જેમ જોડ્યું. તેમણે જાહેરાતોમાં ભારતની ગલીઓની ધમાલ, હોળીના રંગોની ઉડાન, દિવાળીની ઝગમગ અને સામાન્ય માણસની નિર્મળ હાસ્યની ઝાંખી ઉમેરી. તેમની જાહેરાતો માત્ર ઉત્પાદનનું વેચાણ નહોતી કરતી, પણ લોકોના હૃદયના તારને ઝંકૃત કરતી. ફેવિકોલની લારી, કેડબરીની “કુછ ખાસ હૈ હમ સભી મેં” કે “કુછ મીઠા હો જાયે”ની હૂંફાળી ક્ષણો—આ બધું માત્ર વ્યાપારિક જાહેરાતો નહોતું, પણ ભારતીય જનજીવનની ભાવનાઓનું કલાત્મક રૂપાંતર હતું.
Ad Man Piyush Pandey :પિયુષ પાંડેની સર્જનાત્મકતાનું હૃદય: માનવીય સ્પર્શ
પિયુષની સર્જનાત્મકતાનો આધાર માનવીય અનુભવોમાં રહેલો હતો. તેમની જાહેરાતો ઉત્પાદનની ખાસિયતોનું ગીત નહોતી ગાતી, પણ મનુષ્યની લાગણીઓની ગાથા રજૂ કરતી. તેમણે બતાવ્યું કે જાહેરાત એ માત્ર વેચાણનું સાધન નથી, પણ વિશ્વાસ અને સંવાદનો પુલ છે. ફેવિકોલની આઇકોનિક બસવાળી જાહેરાત યાદ કરો—ગામડાના ધૂળિયાળ રસ્તાઓ પર ઉછળતી, ઉભખાબડ ઉછળતી બસ, જેમાં મુસાફરો એકબીજા સાથે ફેવિકોલની જેમ ચોંટેલા રહે છે, એક પણ નીચે પડે નહીં. આ જાહેરાત માત્ર ગુંદરની મજબૂતીની વાત નહોતી કરતી, પણ ભારતીય સંસ્કૃતિના સંબંધો, એકતા અને સમૂહના ભાવને રંગીન દૃશ્યોમાં ઢાળી દીધો. આ એક ક્લાસિક જાહેરાત હતી, જેમાં હાસ્ય, સરળતા અને ઊંડા સાંસ્કૃતિક અર્થનું સમન્વય હતું. “ફેવિકોલ ફક્ત વસ્તુઓને જ નહીં, લોકોના હૃદયોને પણ જોડે છે”—આ સંદેશ ભારતના સમૂહગાનની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
ચાર દાયકાની સર્જનાત્મક યાત્રા
જયપુરની ધરતી પર જન્મેલા આ વાર્તાકારે ચાર દાયકાથી વધુ સમય સુધી ભારતીય જાહેરાતના પટને એવી રીતે રંગ્યો કે સામાન્ય વ્યાપારિક જાહેરાતો સાંસ્કૃતિક પ્રતીકો બની ગઈ. ફેવિકોલ, કેડબરી, એશિયન પેઇન્ટ્સ જેવી બ્રાન્ડ્સને તેમણે ભારતીય મનમાં અમર કરી દીધી. 1993ની કેડબરીની જાહેરાત યાદ કરો—એક યુવતી ક્રિકેટના મેદાનમાં દોડતી, નાચતી, ખુશીથી ઝૂમતી. આ માત્ર ચોકલેટનું વેચાણ નહોતું, પણ મુક્ત આનંદ અને નિષ્કપટ ખુશીની ઉજવણી હતી. પિયુષની દરેક જાહેરાતમાં એક ભાવનાત્મક ઉર્જા હતી, જે બ્રાન્ડને ફક્ત વ્યાપારિક નહીં, પણ હૃદયની નજીક લાવી દેતી. ભારતીયતાનું સ્વરૂપ આપતી ‘મિલે સુર મેરા તમ્હારા’ 1988માં આવેલું “મિલે સુર મેરા તમ્હારા” એ ભારતની સૌથી અવિસ્મરણીય સાંસ્કૃતિક ઝૂંબેશ હતી. આ ગીત ફક્ત રાષ્ટ્રીય એકતાનું પ્રતીક નહોતું, પણ ભાષાઓની સીમાઓ તોડીને ભારતીયતાના મૂળને સ્પર્શતી એક ભાવનાત્મક યાત્રા હતી. પિયુષ પાંડેનું આ કાર્ય એ સાબિત કરે છે કે તેઓ માત્ર જાહેરાતકાર નહોતા, પણ ભારતની સંસ્કૃતિના વાર્તાકાર હતા.
સફળ બ્રાન્ડિંગના માનવીય સૂત્રધાર
પિયુષ પાંડેની ઝૂંબેશો આજે પણ માર્કેટિંગના પાઠ્યપુસ્તકોમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે:
ફેવિકોલ – “ફેવિકોલ કા મજબૂત જોડ”
- કેડબરી ડેરી મિલ્ક – “કુછ મીઠા હો જાયે”, “કુછ ખાસ હૈ હમ સભી મેં”
- એશિયન પેઇન્ટ્સ – “હર ઘર કુછ કહતા હૈ”
- હચ/વોડાફોન – “વ્હેરએવર યુ ગો, અવર નેટવર્ક ફોલોઝ” (પ્રિય પગ ડૉગ સાથે)
- ટાઇટન – “ધ જૉય ઑફ ગિફ્ટિંગ”
- આઇપીએલ – “ઇન્ડિયા કા ત્યોહાર”
આ દરેક ઝૂંબેશમાં સંબંધો, આનંદ, યાદો અને જોડાણનો ભાવ સમાયેલો હતો. પિયુષે આપણા રોજિંદા જીવનની નાની-નાની ક્ષણોને બ્રાન્ડની આત્મા બનાવી દીધી, જે દરેક ભારતીયના હૃદય સાથે સીધી રીતે જોડાતી.
પિયુષ પાંડે પાસે ક્યારેય “ઔપચારિક જાહેરાતની તાલીમ” નહોતી. સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીના ભૂતપૂર્વ ક્રિકેટર તરીકે તેમનું રમતિયાળ મન કદાચ તેમને સંતુલન, ટીમવર્ક અને ઉર્જાનો પાઠ શીખવતું રહ્યું. તેમના સાથીઓએ ઘણી વખત કહ્યું, “પિયુષે ક્યારેય જાહેરાતો લખી નહીં, તેમણે હંમેશાં વાર્તાઓ કહી.” 2016માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા, એ માત્ર તેમની સફળતા માટે નહીં, પણ ભારતીય જાહેરાતની આત્માને વૈશ્વિક ઓળખ આપવા માટે.
24 ઓક્ટોબર 2025ના રોજ પિયુષ પાંડે આ દુનિયામાંથી વિદાય લઈ ગયા, પરંતુ તેમની સર્જનાત્મક દુનિયા હમેશા દરેક ઘરના હૃદયમાં ધબકતી રહેશે. જ્યારે કોઈ ફેવિકોલની જાહેરાત જોઈને હળવું સ્મિત કરે, કે દીવાલ રંગતી વખતે એશિયન પેઇન્ટ્સનું સૂત્ર ગુંજે, ત્યારે એ માત્ર જાહેરાત નથી—એ પિયુષ પાંડેની કલ્પનાનો જીવંત અનુભવ છે. તેઓ એવા સર્જક હતા, જેમણે જાહેરાતને શબ્દો નહીં, પણ લાગણીઓના રંગોમાં રંગી. તેમની વાર્તાઓએ બતાવ્યું કે બ્રાન્ડ માત્ર ઉત્પાદન નથી—એ તો માનવીના હૃદયને સ્પર્શતું એક ભાવનાત્મક પરિબળ છે.
આ પણ વાંચો : ઓલા-ઉબેરના કમિશનનો અંત! કેન્દ્ર સરકારે શરૂ કરી "ભારત ટૅક્સી", ડ્રાઇવરોને મળશે 100% કમાણી


