Ahmedabad Rath Yatra : ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરશે, નેત્રોત્સવ વિધિ થશે
- આગામી 27મી જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાશે
- રથયાત્રામાં 18 ગજરાજો, 30 અખાડા, 18 ભજન મંડળી ભાગ લેશે
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંગળા આરતીમાં હાજર રહેશે
148 Ahmedabad Jagannath Rath Yatra : અમદાવાદમાં આગામી 27મી જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાશે. આ વર્ષે રથયાત્રાનો એક કરોડનો વીમો ઉતારાયો છે. રથયાત્રાના દિવસે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંગળા આરતીમાં હાજર રહેશે. જ્યારે 26 જૂને મુખ્યમંત્રી સંધ્યા આરતીમાં હાજર રહેશે. અમદાવાદમાં પરંપરાગત રીતે વાજતે ગાજતે રથયાત્રા નીકળશે.
ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ યોજાશે. ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની આંખે પાટા બંધાશે. જેમાં પરંપરાગત રીતે ભગવાનને આંખો આવી જાય છે. નિજ મંદિરમાં ધ્વજા રોહણ થશે. ધ્વજા રોહણમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન હાજર રહેશે. તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહેશે. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે.
ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની 148મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની વિગતો આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ A.I.નો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે.
રથયાત્રામાં 18 ગજરાજો, 30 અખાડા, 18 ભજન મંડળી ભાગ લેશે
આ વખતે અમદાવાદની રથયાત્રામાં 18 ગજરાજો, 30 અખાડા, 18 ભજન મંડળી ભાગ લેશે. તે ઉપરાંત 1200 ખલાસીઓ સહિત ભક્તો રથયાત્રામાં જોડાશે. મંદિર તરફથી 30 હજાર કિલોનો પ્રસાદ વહેંચાશે. રથયાત્રામાં બે લાખ ઉપેરણાં સહિતનો પ્રસાદ રખાશે. હાલમાં ભગવાન તેમના મોસાળ સરસપુર ખાતેના રણછોડરાય મંદિરમાં બિરાજમાન છે. આજે ભગવાન નિજ મંદિર પધારશે અને ભગવાનની નેત્રોત્સવ વિધિ થશે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 25 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


