Ajit Doval ચીનની મુલાકાત લેશે, પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું
- Ajit Doval ટૂંક સમયમાં જશે ચીનના પ્રવાસે
- Operation Sindoor બાદની આ મુલાકાત સૂચક બની રહેશે
- આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીનો આપશે સંદેશ
Ajit Doval : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ (Ajit Doval) એ ચીનની મુલાકાત લેવાની યોજના બનાવી છે. ડિસેમ્બર-2024 પછી ડોભાલની આ બીજી ચીનની મુલાકાત હશે. આ બીજી મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદ પર કડક સંદેશ આપવાનો પણ છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન યોજાશે. અજીત ડોભાલની આ મુલાકાત શિખર સંમેલનની તૈયારી માટે પણ થઈ રહી હોવાની શક્યતા છે. આ સમય દરમિયાન ડોભાલ ચીન અને રશિયાના તેમના સમકક્ષોને મળશે. તેઓ વિવિધ મુદ્દાઓ પર વાત કરે તેવી અપેક્ષા છે.
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ડોભાલની સૂચક મુલાકાત
અત્યારે ઈઝરાયલ-ઈરાન યુદ્ધ (Israel-Iran war) ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં હજુ સુધી એ નક્કી નથી કે ઈરાનના NSA આ SCO બેઠકમાં હાજરી આપશે કે નહીં. ડોભાલ SCO ના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોને પણ મળી શકે છે. ડોભાલ ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળશે કે નહીં તેના પર સમગ્ર વિશ્વની નજર છે. વાંગ યી પણ એક ખાસ પ્રતિનિધિ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના વાતાવરણ અને ચીન તરફથી પાકિસ્તાનને મળી રહેલા લશ્કરી સમર્થન દરમિયાન આ બેઠક થઈ રહી છે.
આ પણ વાંચોઃ Gandhinagar : ગુજરાત બનશે ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ, CM ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી નવી પોલિસી
આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીનો સંદેશ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીનો સંદેશ આપવા માટે પણ આ મુલાકાત કરી રહ્યા હોવાના અહેવાલ છે. તેઓ આતંકવાદીઓને કરવામાં આવતી મદદ બંધ કરવા મુદ્દે પણ રજૂઆત કરશે . બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા પર પણ વાતચીત થઈ શકે છે. ચીને ભારતને સીધી ફ્લાઈટ્સ શરૂ કરવા વિનંતી કરી છે. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે માત્ર પાકિસ્તાન જ નહિ પરંતુ તેને સાથ આપતા દેશોને પણ કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ચીન વર્ષોથી પાકિસ્તાનને સાથ આપી રહ્યું છે. તેથી ઓપરેશન સિંદૂર બાદ અજિત ડોભાલની આ ચીન મુલાકાત સૂચક બની રહેશે.
આ પણ વાંચોઃ PARIS : જેવેલિન થ્રોમાં નીરજ ચોપડાએ ડાયમંડ લીગ ખિતાબ જીત્યો


