અમદાવાદમાં હત્યાઓનો સિલસિલો યથાવત; કાગડાપીઠ પછી ઘોડાસરમાં મર્ડર
- અમદાવાદમાં વધુ એક હત્યા; ઘોડાસર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ
- ઘોડાસર વિસ્તારમાં હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
- ઘોડાસર બ્રિજની નીચે મળી આવ્યો મૃતદેહ
- 30 વર્ષના યુવકની છરી મારી હત્યા કરાઈ હોવાની આશંકા
- ઇસનપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી
અમદાવાદ : ગુજરાતનું આર્થિક કેન્દ્ર ગણાતું અમદાવાદ શહેર હાલ અશાંતિના વમળમાં ફસાયું છે. તો સુરક્ષિત શહેર તરફથી અસુરક્ષિત શહેર તરફ પ્રયાણ કરી રહ્યું છે. એક દિવસ અગાઉ જ અમદાવાદના કાગડાપીડ વિસ્તારમાં જગજાહેર રીતે એક વ્યક્તિને રહેસી નાંખવામાં આવ્યો હતો, તેના ગણતરીના કલાકોમાં જ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાંથી વધુ એક મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો છે. બે દિવસ પહેલાં કાગડાપીઠ વિસ્તારમાં ગેંગવોરની ખૂની રમતમાં નીતિન પટણી નામના યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. આ બંને ઘટનાઓએ શહેરમાં ગુનાખોરી અને અસામાજિક તત્વોના આતંકનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે.
ઘોડાસર બ્રિજ નીચે રહસ્યમય હત્યા
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આજે (24 ઓગસ્ટ) સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી જ્યાં ઘોડાસર બ્રિજ નીચે 30 વર્ષના એક યુવકનો મૃતદેહ હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ઇસનપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસને આશંકા છે કે આ હત્યા અંગત અદાવત, ગેંગવોર કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિનું પરિણામ હોઈ શકે. જોકે હત્યાને લઈને ચોક્કસ કારણો સામે આવી શક્યા નથી કે, યુવકની ઓળખ પણ થઈ શકી નથી.
ઘટનાસ્થળે મળેલા પુરાવાઓ, જેમાં છરીનું કવર અને એક ચશ્મા શામેલ છે, તેના આધારે પોલીસે આસપાસના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ઘોડાસર વિસ્તારમાં રહેવાસીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, “આ બ્રિજ નીચે રાત્રે શંકાસ્પદ લોકો ફરતા હોય છે. પોલીસે પેટ્રોલિંગ વધારવું જોઈએ, નહીં તો આવી ઘટનાઓ વધશે.”
2025ના જૂલાઈ મહિનામાં અમદાવાદના ચાંદખેડામાં યુવકના અપહરણ બાદ હત્યાની ઘટના ઘટી હતી. તેના બીજા દિવસે પણ વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો. ચાંદખેડાના ત્રાગડ અંડરપાસ નજીક સર્વસ રોડ પર લોહી લુહાણ હાલતમાં એક આધેડની લાશ મળી આવી હતી.
પાછલા દિવસોમાં અમદાવાદ શહેરમાં હત્યાઓના સિલસિલાને જોતા શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે વહીવટી તંત્ર સામે પડકારો વધી રહ્યા છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી નયન પર છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે 20 ઓગસ્ટે નયનનું મૃત્યુ થયું. આ ઘટનાએ પણ અમદાવાદમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે.
આ પણ વાંચો- Ahmedabad : રખડતાં ઢોરને લઈ જતી AMC ની ટીમ, પોલીસકર્મીઓ પર હુમલો! Video વાઇરલ