Chhota Udepur: જિલ્લાને 2727 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફળવાયો, ખેડૂતોને ક્યારે મળશે રાહત?
- Chhota Udepur માં ખાતરની અછત
- ખેડૂતોની મધ્યરાત્રિથી લાંબી કતાર
- તંત્રએ 2727 MT યુરિયા ફાળવ્યું
- ખેડૂતોને વાવણીના સમયે જ રઝળપાટ
Chhota Udepur:છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી યુરિયા ખાતરની અછતને પગલે ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે. જિલ્લાના વિવિધ ખાતર ડેપો પર યુરિયા મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ નહીં, પરંતુ અડધી રાતથી જ લાઈન લગાવીને ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. પોતાની રવિ સિઝનની જરૂરિયાત પૂરી કરવા અને ખાતર મેળવવાની આશા સાથે ખેડૂતો મધ્યરાત્રિથી જ કતારોમાં ઊભા રહે છે, જેથી તેમને વહેલો નંબર મળી શકે. જોકે, પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો સમયસર ન આવવાના કારણે અનેક ખેડૂતોને નિરાશ થવું પડે છે. ખાતરના અભાવે ખેડૂતોને વાવણીના સમયે જ રઝળપાટ કરવો પડી રહ્યો છે, જેનાથી તેમની ખેતીની કામગીરી ખોરવાઈ ગઈ છે. રવિ સિઝનના વાવેતર દરમિયાન જ યુરિયાની તાતી જરૂરિયાત ઊભી થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.
Chhota Udepur વહીવટી તંત્ર દ્વારા 2727 મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ફાળવ્યો
ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને ખાતરની અછત અંગેના સવાલો વચ્ચે વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે અને જરૂરી વ્યવસ્થા ગોઠવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, યુરિયા ખાતરની અછત બાબતે ઊભા થયેલા પ્રશ્નોને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાને આ અઠવાડિયામાં કુલ 2727 મેટ્રિક ટન (MT) યુરિયા ખાતરનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ જથ્થો મુખ્યત્વે ત્રણ કંપનીઓ તરફથી મળ્યો છે: GLFCને 827 મેટ્રિક ટન, GSFC ને 800 મેટ્રિક ટન અને IFCO ને1100 મેટ્રિક ટન મળ્યો છે. આમ, છોટાઉદેપુર જિલ્લાને કુલ 2727 મેટ્રિક ટન ખાતર મળ્યું છે.
વિતરણ વ્યવસ્થા અને આગામી આયોજન
પ્રાપ્ત થયેલા જથ્થામાંથી અત્યાર સુધીમાં 1460 મેટ્રિક ટન ખાતરનો જથ્થો જિલ્લાના તમામ તાલુકાઓમાં વિતરણ માટે મોકલી દેવામાં આવ્યો છે. બાકીનો 1267 મેટ્રિક ટન જથ્થો આગામી બે દિવસમાં જિલ્લામાં વિતરણ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. ખાતરની એકસાથે માંગ વધવા પાછળનું કારણ 'ચોમાસામાં મોડેથી અને વધારે વરસાદ પડવાને કારણે રવિ સિઝનનું વાવેતર મોડું થયું છે. પરિણામે, ખેડૂતોએ એકસાથે મકાઈનું વાવેતર કર્યું છે, જેના કારણે યુરિયા ખાતરની માંગમાં એકસાથે વધારો થયો છે.'
વહીવટી તંત્રએ ખાતરી આપી છે કે તમામ ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર મળે તે માટેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ડેપો પર કાયદો અને વ્યવસ્થા જળવાય અને ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તે દિશામાં વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે.
અહેવાલઃ સલમાન મેમણ
આ પણ વાંચોઃ Chhota Udepur: બોડેલી નગરપાલિકાના 7 વોર્ડની થઈ રચના, ક્યારે થઈ શકે છે ચૂંટણી?


