EPFO એ લીધો મોટો નિર્ણય, PF ખાતામાંથી હવે 100% રકમ ઉપાડી શકાશે! જાણો A to Z માહિતી!
- કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ( EPFO) એ લીધો મોટો નિર્ણય
- PF ખાતા માંથી હવે 100% રકમ ઉપાડી શકાશે
- 13 જેટલા જટિલ નિયમો હવે 3 કેટેગરીમાં કરી દીધા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ તેના 7 કરોડથી વધુ સભ્યો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે EPFOના સભ્યો જરૂરિયાત મુજબ પોતાના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાંથી 100% એટલે કે પૂરી રકમ ઉપાડી (100% PF withdrawal) શકશે. સરકારે આ પગલાંને લોકોની "ઇઝ ઓફ લિવિંગ" એટલે કે જીવનને સરળ બનાવવાની દિશામાં એક મોટો સુધારો ગણાવ્યો છે.શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી શિક્ષણ, લગ્ન, બીમારી અથવા ઘર જેવી જરૂરિયાતો માટે પૈસા ઉપાડવાનું હવે વધુ સરળ અને જટિલતા-મુક્ત બન્યું છે. આ ફેરફારથી કરોડો કર્મચારીઓની આર્થિક સ્વતંત્રતા અને સુવિધા બંને વધશે.
EPFO: 13 નિયમોને માત્ર 3 કેટેગરીમાં સમાવ્યા
સોમવારે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયોને મંજૂરી આપવામાં આવી. સૌથી મોટો ફેરફાર એ છે કે EPFમાંથી આંશિક ઉપાડ (Partial Withdrawal)ના નિયમોને સંપૂર્ણપણે સરળ અને લવચીક બનાવવામાં આવ્યા છે.
પહેલાં 13 અલગ-અલગ જટિલ નિયમો હતા, જેને હવે માત્ર ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે
આવશ્યક જરૂરિયાતો: જેમ કે બીમારી, શિક્ષણ અને લગ્ન.
હાઉસિંગ (ઘર સંબંધિત) જરૂરિયાતો.
વિશેષ પરિસ્થિતિઓ (Special Circumstances).
EPFO: આંશિક ઉપાડ માટેની સેવા અવધિ 5 વર્ષથી ઘટાડીને 12 મહિના કરી
નવા નિયમ મુજબ, કર્મચારી હવે પોતાના ખાતામાંથી કર્મચારી અને માલિક બંનેના હિસ્સા સહિત 100% રકમ ઉપાડી શકશે.
શિક્ષણ માટે પૈસા ઉપાડવાની મર્યાદા 10 ગણી અને લગ્ન માટે 5 ગણી સુધી કરી દેવામાં આવી છે.
અત્યાર સુધી કુલ મળીને માત્ર 3 વખત જ આંશિક ઉપાડની પરવાનગી હતી.
પહેલાં કોઈપણ આંશિક ઉપાડ માટે ઓછામાં ઓછી 5 વર્ષની સેવા જરૂરી હતી, પરંતુ હવે તેને ઘટાડીને માત્ર 12 મહિના કરી દેવામાં આવી છે.
EPFO : ખાતામાં 25% રકમ "મિનિમમ બેલેન્સ" તરીકે જાળવી રખાશે
"વિશેષ પરિસ્થિતિઓ" (Special Circumstances) વાળા કિસ્સાઓમાં, પહેલા સભ્યને કારણ જણાવવું પડતું હતું - જેમ કે કુદરતી આફત, મહામારી, બેરોજગારી અથવા લોકઆઉટ. આના કારણે ઘણા દાવાઓ રદ્દ થતા હતા. હવે આ કેટેગરીમાં કોઈપણ કારણ જણાવ્યા વિના પણ ઉપાડ કરી શકાશે.
EPFOએ એ પણ નક્કી કર્યું છે કે સભ્યના ખાતામાં હંમેશા 25% રકમ "મિનિમમ બેલેન્સ" તરીકે જાળવી રાખવામાં આવશે. આનાથી ખાતા પર 8.25% વ્યાજ અને કમ્પાઉન્ડિંગનો લાભ મળતો રહેશે. એટલે કે, જરૂરિયાતના સમયે પૈસા કાઢવાની આઝાદી પણ મળશે અને નિવૃત્તિ ભંડોળનો ફાયદો પણ જળવાઈ રહેશે.
EPFO: અન્ય મહત્વના ફેરફારો અને "વિશ્વાસ સ્કીમ"
EPFOનું કહેવું છે કે હવે આંશિક ઉપાડના 100% દાવાઓ કોઈપણ દસ્તાવેજ વગર આપોઆપ (Automatically) સેટલ થઈ શકશે.
ફાઇનલ સેટલમેન્ટના નિયમોમાં પણ ફેરફાર થયો છે: હવે PFનું પ્રી-મેચ્યોર સેટલમેન્ટ 2 મહિનાને બદલે 12 મહિનામાં, અને પેન્શન ઉપાડ 2 મહિનાથી વધારીને 36 મહિનામાં કરી શકાશે.
બેઠકમાં વિશ્વાસ સ્કીમ (Vishwas Scheme) ને પણ મંજૂરી આપવામાં આવી છે, જેનો હેતુ પેનલ્ટીના કેસોમાં મુકદ્દમાબાજી ઘટાડવાનો છે. હવે મોડેથી જમા કરાયેલા PF પર પેનલ્ટી માત્ર 1% પ્રતિ માસ રહેશે.
EPFO અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) વચ્ચેના કરારથી EPS-95 પેન્શનરોને તેમના ઘરે જ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મફતમાં ઉપલબ્ધ કરાશે.
EPFO 3.0 ડિજિટલ ફ્રેમવર્ક ને પણ મંજૂરી મળી છે, જેનાથી PF સેવાઓ સંપૂર્ણપણે બેન્કિંગની જેમ ડિજિટલ અને ઓટોમેટેડ બનશે.
નોંધનીય છે કે શ્રમ મંત્રી માંડવિયાએ જણાવ્યું કે આ નિર્ણયોથી EPFOની સેવાઓ પારદર્શી, ઝડપી અને ટેક્નોલોજી આધારિત બનશે અને કરોડો કર્મચારીઓને સીધો ફાયદો મળશે.
આ પણ વાંચો: JDUએ ઉમેદવારીની યાદી જાહેર કરતા પહેલા ઉમેદવારોને આપ્યા મેન્ડેટ! નીતિશ કુમારના નિવાસ્થાને બેઠક