હિમાચલથી ચરસ લાવીને ગુજરાતમાં વેચનારા રત્ન કલાકારને SMC એ પકડ્યો
State Monitoring Cell છેલ્લાં કેટલાંક સપ્તાહથી ડ્રગ્સની બદીને કાબૂમાં કરવા મથી રહ્યો છે. અમદાવાદ, સુરત તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં NDPS ના કેસ કરનારી SMC એ ચરસની ખેપ મારાનારા સુરતના રત્ન કલાકારને ઝડપી પાડ્યો છે. ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારા પાસેથી પકડાયેલા ખેપિયા પાસેથી 363.280 ગ્રામ ચરસ કબજે કરાયું છે. ચરસની અનેક ખેપ મારી ચૂકેલો વિપુલ ભુવા/ભરવાડ અગાઉ પણ ડ્રગ્સ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યો છે.
હિમાચલથી ટ્રેનમાં ગાંધીનગર પહોંચ્યો
સુરતના અમરોલી ખાતે સિધ્ધી ગણેશ એપાર્ટમેન્ટ ખાતે પત્ની અને સંતાનો સાથે રહેતો વિપુલ વરજાંગભાઈ ભુવા/ભરવાડ (ઉ.30 મૂળ રહે. હડમતીયા, તા.ઉમરાળા, જિ. ભાવનગર) ટ્રેન મારફતે રવિવારે ગાંધીનગર આવ્યો હતો. સપ્તાહ અગાઉ વિપુલ ભરવાડ હિમાચલ પ્રદેશ ખાતે ગયો હતો અને ત્યાંથી ચરસ ખરીદીને ગુજરાત ખાતે પરત ફર્યો હતો.
આ પણ વાંચો -Gujarat Rain : સૌરાષ્ટ્ર પંથકનાં અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ, જેસર તાલુકામાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો
SMC એ સ્ટેશન પાસેથી રંગેહાથ પકડ્યો
5 વર્ષથી સુરત ખાતે રહીને હિરા ઘસવાનું કામ કરતો વિપુલ ભરવાડ રવિવારે બપોરે હિમાચલથી ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar Railway Station) ખાતે પહોંચ્યો હતો. દરમિયાનમાં SMC ને બાતમી મળી હતી કે, વિપુલ ભુવા પાસે માદક પદાર્થનો જથ્થો છે જે લઈને કેપિટલ રેલવે સ્ટેશન ખાતે ઉતરીને સુરત જવાનો છે. આ બાતમીના આધારે Team SMC એ વિપુલ ભરવાડને રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસે રોકી તેની પાસે રહેલા રેકઝીનનો થેલો તપાસતા તેમાંથી પ્લાસ્ટીકની થેલીઓની વચ્ચે લપેટેલો ચરસનો જથ્થો મળ્યો હતો.
આ પણ વાંચો -IPL 2025 : બુકીનું 100 કરોડનું ઉઠમણું, MLA અને પોલીસે પતાવટના નામે તોડ કર્યા
કોની પાસેથી લાવ્યો અને કોને આપવાનો હતો ?
વિપુલ ભરવાડ વર્ષ 2023માં તેના મિત્ર મહેશ દુર્લભભાઈ ચુડાસમા સાથે હિમાચલ પ્રદેશ ખાતે ચરસ લેવા ગયો હતો. જ્યાં વિપુલ પકડાઈ જતા તેની સામે કુલ્લુ જિલ્લાના ભુંતર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને 2 મહિના જેલવાસ ભોગવ્યો હતો. ત્યારબાદ વિપુલ ભરવાડને કોર્ટ મુદતે હિમાચલ જવાનું થતું હતું. હિમાચલના સિલા ખાતે આવેલી જોનસ્નો હૉટેલના માલિક સુનિલ આહીર સાથે વિપુલનો પરિચય થતાં તે અવારનવાર હિમાચલ ખાતેથી ચરસ લાવીને ગુજરાતમાં વેચવા લાગ્યો હતો. આ વખતે સુનિલ આહીરના કહેવા અનુસાર સીલાના કીંગ બાબા ઉપરાંત Kashol Himachal Pradesh ના હની તેમજ મલાણાના પ્રતાપ તથા માનસીંગ પાસેથી ચરસનો જુદીજુદી માત્રામાં જથ્થો મેળવ્યો હતો. 323 ગ્રામ ચરસમાંથી કેટલોક જથ્થો આણંદના સમીર રાણાને આપવાનો હતો અને બાકીનો જથ્થો સુરત ખાતે વેચવાની કબૂલાત વિપુલે કરી છે.


