સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સમાચાર, GPSCની વર્ગ 1-2ની બે ભરતીઓ રદ
- સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારોમાં નીરાશા
- GPSCએ વર્ગ 1-2ની બે ભરતીઓ રદ કરવાનો નિર્ણય કર્યો
- આયોગ દ્વારા 1 ફેબ્રુઆરીએ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી
સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ગાંધીનગરથી નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. GPSC દ્વારા વર્ગ 1-2ની ભરતીઓ રદ કરવામાં આવતાં સરકારી નોકરીની તૈયારીઓ કરતાં ઉમેદવારોમાં નીરાશા જોવા મળી રહી છે.
ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની નાયબ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-1 (જા.ક. 116/2024-25) ની કુલ-01 જગ્યા અને મદદનીશ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-2 (જા.ક. 117/2024-25) ની કુલ-02 જગ્યા પર ભરતી માટે આયોગ દ્વારા 1 ફેબ્રુઆરીએ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ભરતી નિયમોમાં સુધારાની તેમજ બંને સંવર્ગોના રોસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોઈ GPSCએ બંને જાહેરાતો રદ કરી છે. વિભાગ દ્વારા પ્રસ્તુત જગ્યાઓના નવેસરથી માંગણીપત્રકો મળ્યા બાદ નવી જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવશે. જે અંગે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા દિવસો પહેલાં કૃષિ વિભાગે 144 જગ્યાઓ રદ કરી હતી.
ગુજરાતના કૃષિ વિભાગે નવી જગ્યા ઉભી કરવાને બદલે 144 જગ્યાઓ રદ કરી
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા વેર હાઉસ નિગમની 144 જગ્યાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગ-3 અને વર્ગ-4 આ જગ્યાઓ પર ભરતી કરવાને બદલે હયાત જગ્યાઓ રદ કરવામાં આવી છે. આ સમાચારથી સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.
ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમ દ્વારા રજૂ થયેલા દરખાસ્ત પર વિચારણા બાદ આ નિયમનું અમલ થશે. કૃષિ અને સહકાર વિભાગના સચિવે જણાવ્યું કે આ પગલું વિભાગની કાર્યક્ષમતા અને કાર્યક્ષેત્રની સુધારણા માટે મહત્વપૂર્ણ છે.