NOTAM: ભારતે પાકિસ્તાની વિમાનો માટે Airspace 24 ઓક્ટોબર સુધી બંધ રાખવાની કરી જાહેરાત
- ભારતે પાકિસ્તાન વિમાનો માટે Airspace 24 ઓકટોબર સુધી બંધ કર્યું
- ભારત સરકાર દ્વારા NOTAM જારી કરાયો
- આ નિર્ણય 30 એપ્રિલથી અમલમાં આવ્યો હતો
પહેલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર મિશનથી પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને તેમના આતંકવાદી ઠેકાણા અને એરસ્પેસને નેસ્તનાબૂદ કરીને ભારે તબાહી મચાવી હતી. હવે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ખુબ વધી ગયો છે.ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ રાખવાની સમયસીમા ફરીથી લંબાવી છે.
ભારતે Airspace 24 ઓક્ટોબર સુધી બંધ
નોંધનીય છે કે હવે પાકિસ્તાનના સૈન્ય કે નાગરિક વિમાનો 24 ઓક્ટોબર સુધી ભારતીય એરસ્પેસમાં પ્રવેશ કરી શકશે નહીં. આ નિર્ણયના જવાબમાં પાકિસ્તાને પણ ભારતીય વિમાનો માટે પોતાની એરસ્પેસ 24 ઓક્ટોબર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.આ પ્રતિબંધની શરૂઆત 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ થઈ હતી. આ હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા, જેના પરિણામે ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. ત્યારથી, બંને દેશોએ પરસ્પર એરસ્પેસ બંધ રાખવાની સમયસીમા અનેક વખત લંબાવી છે.
ભારત સરકારે Airspace પર સમયમર્યાદા વધારી
ભારત અને પાકિસ્તાન બંનેએ અલગ-અલગ નોટિસ ટુ એરમેન જારી કરી છે. ભારતે જારી કરેલા આ આદેશ અનુસાર, સૈન્ય વિમાનો સહિત કોઈપણ પાકિસ્તાની-રજિસ્ટર્ડ એરક્રાફ્ટ અથવા પાકિસ્તાની એરલાઈન્સ દ્વારા ખરીદેલ કે લીઝ પર લીધેલ કોઈપણ વિમાનને ભારતીય એરસ્પેસમાં પ્રવેશ મળશે નહીં.NOTAMમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે 23 ઓક્ટોબરની રાત્રે 11:59 વાગ્યા સુધી પાકિસ્તાનના તમામ વિમાનો માટે ભારતીય એરસ્પેસ સંપૂર્ણપણે બંધ રહેશે. આ નિર્ણય 30 એપ્રિલથી અમલમાં આવ્યો હતો અને ત્યારથી તેને સતત લંબાવવામાં આવી રહ્યો છે. આ પગલું બંને દેશો વચ્ચેના ગંભીર સુરક્ષા પડકારો અને રાજકીય તણાવને દર્શાવે છે. આ નિર્ણયથી બંને દેશો વચ્ચેની હવાઈ અવરજવર પર સીધી અસર પડી રહી છે, જેના કારણે મુસાફરોને લાંબા રૂટ અને વધુ ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: Imran Khanનો કટાક્ષ: 'નકવી અને મુનીર ઓપનિંગ કરશે તો જ ભારત સામે પાકિસ્તાન જીતશે...'


