વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલ પર કરેલા ડ્રોન-મિસાઇલ હુમલાને ભારતીય સેનાએ નાકામ કર્યો, જુઓ ડેમો
- ભારતીય સેના દ્વારા વીડિયો જારી કરીને માહિતી આપવામાં આવી
- પાકિસ્તાન ગોલ્ડન ટેમ્પલને નિશાન બનાવવા માંગતું હતું
- જો કે, ભારતીય સેનાની સતર્કતા અને તૈયારી સામે પાકિસ્તાનના મનસુબા ભોંય ભેગા થઇ ગયા
GOLDEN TEMPLE SAVE FROM ATTACK : આતંકવાદને પોષતા પાકિસ્તાને 6-7 મેના ભારત પર રોજ ડ્રોન હુમલો કર્યો હતો. ભારતીય સેના અને સેનાના સંસાધનોએ તે હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. જે બાદ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, ગુજરાત અને પંજાબના શહેરોને નિશાન બનાવવા માંગતું હતું. જો કે, એક પછી એક તેની દરેક યોજના નિષ્ફળ બનાવી દેવામાં આવી હતી. હાલ બંને દેશો વચ્ચે શાંતિ છે, ત્યારે ભારતીય સેના દ્વારા જણાવાયું કે, તેમણે કેવી રીતે વિશ્વપ્રસિદ્ધ સુવર્ણ મંદિર અને અમૃતસરનું દુશ્મન દેશની મિસાઇલોથી રક્ષણ કર્યું છે. આ અંગેનો ડેમો સામે આવ્યો છે.
મિસાઇલોનો કાટમાળ પણ બતાવ્યો
પંજાબના અમૃતસરમાં ભારતીય સેનાની આકાશ મિસાઇલ સિસ્ટમ, L-70 એર ડિફેન્સ ગન સહિત ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ અમૃતસરના સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી બચાવ્યા હતા. આ કેવી રીતે શક્ય બન્યું હતું, તેનો એક ડેમો સામે આવ્યો છે. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોનો કાટમાળ પણ બતાવ્યો છે, આ મિસાઇલોને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવી છે.
સુવર્ણ મંદિર તેમના ટોચના નિશાના પર હોઇ શકે
15 મી ઇન્ફ્રેન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફ કમાન્ડર મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રીએ જણાવ્યું હતું કે, “ અમને અંદાજો હતો કે, પાકિસ્તાની સેના પાસે કોઈ ચોક્કસ લક્ષ્યાંકો નથી. સાથે જ અનુમાન હતું કે, તેઓ ભારતીય સેનાના ઠેકાણા, ધાર્મિક સ્થળો સહિત નાગરિક સ્થળોને નિશાન બનાવી શકે છે. જેમાં, સુવર્ણ મંદિર તેમના ટોચના નિશાના પર હોઇ શકે છે. સુવર્ણ મંદિરને સંપૂર્ણ હવાઈ સંરક્ષણ કવચ પૂરું પાડવા માટે અમે આધુનિક શસ્ત્રો એકત્રિત કર્યા હતા. 8 મેના રોજ વહેલી સવારેપાકિસ્તાને ડ્રોન અને લાંબા અંતરની મિસાઇલોનો વ્યાપક હવાઈ હુમલો કર્યો હતો.
નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા
તેમણે કહ્યું, 'અમે આ હુમલાને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા. આ વાતનો અમને પહેલાથી જ અંદાજો હતો. અમારા સતર્ક આર્મી એર ડિફેન્સ ગનર્સે પાકિસ્તાની સેનાના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા. અને સુવર્ણ મંદિર પર નિશાન સાધેલા તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા હતા. આ રીતે પવિત્ર સુવર્ણ મંદિર પર એક પણ ઘસરકો પડવા દીધો ન્હતો.
શ્રેણીબદ્ધ હુમલાઓ કરવામાં આવ્યા
GOC મેજર જનરલે ઉમેર્યું કે, આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો હતો. આ ગુસ્સાએ ઓપરેશન સિંદૂરનું સ્વરૂપ લીધું હતું, જેમાં ચોક્કસ આતંકવાદી ઠેકાણાઓ પર શ્રેણીબદ્ધ હુમલાઓ કરવામાં આવ્યા હતા. નવ લક્ષ્યાંકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં લાહોર નજીક મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથક અને બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) નું મુખ્ય મથક શામેલ હતું, તેના પર અત્યંત ચોકસાઈથી હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો --- Jammu Kashmir : ભારતીય સેનાનું મોટું ઓપરેશન, LoC નજીક 42 શેલને ડિફ્યૂઝ કરવામાં આવ્યા