OPERATION SINDHU : યુદ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા ભારતીયોને લઇને પ્રથમ ફ્લાઇટ દિલ્હી પહોંચી
- ભારતીય નાગરિકોને લઇને ઇરાનથી પ્રથમ ફ્લાઇટનું દિલ્હીમાં આગમન
- યુદ્ધક્ષેત્રમાંથી ભારત સરકારે પોતાના નાગરિકોને પરત લાવવા ઓપરેશન સિંધૂ શરૂ કર્યું
- આશરે 4 હજાર જેટલા ભારતીય મૂળના નાગરિકો ફસાયા હોવાની માહિતી
OPERATION SINDHU : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (IRAN - ISRAEL CONFLICT) ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઇરાનમાં રહેતા હજારો ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે ઓપરેશન સિંધુ (OPERATION SINDHU) શરૂ કર્યું છે. ઈરાનથી ભારત પરત લાવવામાં આવી રહેલા વિદ્યાર્થીઓનો પહેલો જથ્થો ગુરુવારે સવારે ભારત પહોંચ્યો છે. પ્રથમ બેચમાં 1100 થી વધુ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે. આ તકે વિદેશ મંત્રાલયે (MEA - INDIA) કહ્યું કે, વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા સરકારની પહેલી પ્રાથમિકતા છે. ઈરાનમાં 4,000 થી વધુ ભારતીય નાગરિકો રહે છે અને તેમાંથી અડધાથી વધુ વિદ્યાર્થીઓ છે.
મોટા વિસ્ફોટો સાંભળ્યા
ઈરાનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ત્યાં ફસાયેલા 110 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને ભારત લાવવામાં આવ્યા છે. બધાને લઈને એક ખાસ ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચી છે. આ ફ્લાઇટમાં પરત આવેલા વિદ્યાર્થી યાસેર ગફ્ફારે કહ્યું કે, અમે રાત્રે મિસાઇલો ઉપર ઉડતી જોઈ હતી અને મોટા વિસ્ફોટો સાંભળ્યા હતા. જેથી અમારામાં ભયનું વાતાવરણ હતું, પરંતુ હવે ભારત પહોંચ્યા પછી રાહત છે.
સરકારનો આભાર વ્યક્ત કર્યો
યાસરે કહ્યું કે, તેણે હજુ સુધી પોતાના સપના છોડ્યા નથી અને પરિસ્થિતિ સુધરતાં તે ઈરાન પાછો ફરશે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોએ આ પગલા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સતત વધી રહેલા તણાવને કારણે ભારત તેના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં વ્યસ્ત છે.
તેહરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર
ઈરાનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારત પરત ફરેલા અન્ય વિદ્યાર્થીએ કહ્યું કે, પરિસ્થિતિ દરરોજ વધુમાં વધુ ખરાબ થઈ રહી છે, ખાસ કરીને તેહરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. બધા ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય અધિકારીઓ સારું કામ કરી રહ્યા છે. અમને બધાને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીએ તેમ પણ કહ્યું કે, તેને આર્મેનિયા લઈ જવામાં આવ્યો હતો, અને ત્યાંથી તેને કતાર મોકલવામાં આવ્યો હતો. આખરે તે ભારત પહોંચ્યો છે.
બધા વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં બહાર કાઢાશે
જમ્મુ અને કાશ્મીર વિદ્યાર્થી સંઘે સ્થળાંતર કામગીરી શરૂ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકરનો આભાર માન્યો. અને નિવેદનમાં જણાવ્યું કે, "અમને આશા છે કે બાકીના બધા વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં બહાર કાઢવામાં આવશે."
ભારતીય નાગરિકોને સલાહ
અગાઉ, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત ઈરાન અને આર્મેનિયાની સરકારોનો આભારી છે. તેઓએ સરળ સ્થળાંતર પ્રક્રિયા સુનિશ્ચિત કરી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને, ઈરાનમાં ભારતીય દૂતાવાસ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને આર્મેનિયાની રાજધાની યેરેવનમાં ખસેડવામાં મદદ કરી રહ્યું છે. ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેહરાનમાં ભારતીય દૂતાવાસની ઇમરજન્સી હેલ્પલાઇન અને નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય દ્વારા સ્થાપિત 24x7 કંટ્રોલ રૂમના સંપર્કમાં રહે.
ભારતીય દૂતાવાસના પ્રયાસો બદલ આભાર
આ દરમિયાન, સ્થળાંતર કરાયેલા વિદ્યાર્થીના પિતાએ કહ્યું કે, મારો પુત્ર ભારતથી મોકલવામાં આવેલા ખાસ વિમાનમાં આર્મેનિયા થઈને પરત ફરી રહ્યો છે. તે ઈરાનમાં MBBS કરી રહ્યો હતો. હું તેને રાજસ્થાનના કોટાથી લેવા આવ્યો છું. મને ખુશી છે કે મારો દીકરો ઘરે પાછો આવી રહ્યો છે. સરકારની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, સરકારે સારા પ્રયાસો કર્યા છે. હું સરકારને વિનંતી કરું છું કે તેહરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને મદદ કરે. મારો દીકરો સરહદી વિસ્તારમાં હતો, અને ત્યાં પરિસ્થિતિ એટલી તંગ નહોતી, અને ફક્ત સરહદી વિસ્તારોમાં રહેતા લોકો જ દેશ છોડી શકતા હતા. તેહરાન સહિત દેશના આંતરિક વિસ્તારોમાં ફસાયેલા લોકો હજુ સુધી બહાર નીકળી શક્યા નથી. હું ભારતીય દૂતાવાસના પ્રયાસો બદલ આભાર માનું છું.
આ પણ વાંચો --- Donald Trump : ‘હું પાકિસ્તાનને પ્રેમ કરું છું અને ભારત સાથે.., યુદ્ધવિરામ અંગે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા


