JAMMU: ભારે વરસાદમાં ભૂસ્ખલન, માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા પરંપરાગત માર્ગનો સહારો
- વૈષ્ણો દેવી માતાના દર્શના જતા શ્રદ્ધાળુઓ વરસાદ-ભૂસ્ખલનના કારણે અટવાયા
- નવો રસ્તો બ્લોક થતા જુના પરંપરાગત રસ્તે યાત્રાને આગળ ધપાવવામાં આવી
- સિઝનમાં આ ત્રીજી વખત નવો રસ્તો બ્લોક થયો હોવાનું સામે આવ્યું છે
JAMMU : જમ્મુ અને કાશ્મીરમાં (JAMMU AND KASHMIR) ભારે વરસાદને કારણે માતા વૈષ્ણો દેવીની (MATA VAISHNO DEVI PILGRIMAGE) યાત્રા ફરી એકવાર રોકી દેવામાં આવી છે. મુશળધાર વરસાદને કારણે હિમકોટી ટ્રેક પર ભૂસ્ખલન થયું છે. જેના કારણે વૈષ્ણોદેવી યાત્રાનો માર્ગ ખોરવાઈ ગયો હતો. ભૂસ્ખલનની ઘટના બાદ વૈષ્ણો દેવી યાત્રા માટેનો નવો યાત્રા માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે ત્રીજી વખત ખરાબ હવામાનને કારણે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ભૂસ્ખલનને કારણે બેટરી કાર, કેબલ કાર અને હેલિકોપ્ટર સેવાઓ પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે.
વહીવટીતંત્રે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દીધું
વરસાદ પછી હિમકોટી રોડ પર લગભગ 30 ફૂટ કાટમાળ જમા થઈ ગયો છે, અને મોટા પથ્થરો પડવાથી રસ્તો બ્લોક થઈ ગયો છે. જોકે, માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્રે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દીધું છે. અને યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને યાત્રા પરંપરાગત જૂના માર્ગ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.
મુસાફરોને વહીવટીતંત્રની અપીલ
વહીવટીતંત્રે મુસાફરોને હવામાનને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને ફક્ત અધિકૃત રૂટ અને માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે. ઉપરાંત શ્રાઇન બોર્ડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સની ટીમો સ્થળ પર તૈનાત છે, અને કાટમાળ દૂર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અગાઉ પણ જૂન મહિનામાં ભારે વરસાદને કારણે આ રૂટ બે વાર બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. વહીવટી અધિકારીઓનું કહેવું છે કે, તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે, અને પરિસ્થિતિ સામાન્ય થયા પછી બધી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
મંગળવારે પણ ભૂસ્ખલન થયું હતું
મંગળવારે માતા વૈષ્ણોદેવી મંદિરના નવા માર્ગ પર પણ ભૂસ્ખલન થયું હતું. રિયાસી જિલ્લામાં ત્રિકુટા ટેકરીઓ પર ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. જોકે આના કારણે બેટરી સંચાલિત કાર સેવા બંધ થઈ ગઈ હતી. જે થોડા સમય પછી ફરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હિમકોટી રોડ પર સત્યા વ્યૂ પોઈન્ટ પાસે ભૂસ્ખલન થયું હતું. જોકે તે સમયે યાત્રાળુઓની કોઈ અવરજવર ન્હોતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
આ પણ વાંચો --- UTTARAKHAND : રુદ્રપ્રયાગમાં મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ અલકનંદા નદીમાં ગરકાવ


