Kerala Nurse Nimisha Priya: યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાની સજા રદ, રાજધાની સનામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય
- ગ્રાન્ડ મુફ્તીની ઓફિસે પુષ્ટિ કરી, ભારત માટે મોટી જીત
- 2020 માં યમનની કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી
- યમન સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર લેખિત પુષ્ટિ મળી નથી
Kerala Nurse Nimisha Priya: યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. ભારતના ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબુબકર મુસલિયરના કાર્યાલયે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. જોકે, નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યમન સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર લેખિત પુષ્ટિ મળી નથી.
2020 માં યમનની કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા, જે અગાઉ સ્થગિત કરવામાં આવી હતી, હવે તે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે, ગ્રાન્ડ મુફ્તીની ઓફિસે જણાવ્યું હતું કે આ નિર્ણય યમનની રાજધાની સનામાં એક ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. નિમિષા પ્રિયાનો કેસ વર્ષ 2018 થી આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સમાં છે. નિમિષા પર તેના વ્યવસાયિક ભાગીદારની હત્યા કરવાનો અને પછી શરીરના ટુકડા કરવાનો આરોપ છે. માર્ચ 2018 માં તેણીને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને 2020 માં યમનની કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી.
નિમિષાને મૃત્યુદંડની સજા મળવાની આખી વાર્તા શું છે?
કેરળની 34 વર્ષીય નર્સ નિમિષા પ્રિયા મૂળ પલક્કડ જિલ્લાની છે. 2008 માં, નિમિષા નોકરીની શોધમાં યમન ગઈ હતી. તે એક ખ્રિસ્તી પરિવારની છે. યમનની રાજધાની સનામાં, તેણી એક સ્થાનિક નાગરિક તલાલ અબ્દો મહદીને મળી, જેની સાથે તેણીએ ભાગીદારીમાં ક્લિનિક શરૂ કર્યું. થોડા સમય પછી, તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ. મીડિયા અહેવાલો પ્રમાણે, મહદીએ નિમિષાને હેરાન કરવાનું શરૂ કર્યું અને જાહેરમાં પોતાને તેનો પતિ ગણાવ્યો. એટલું જ નહીં, તેણે નિમિષાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો જેથી તે ભારત પાછી ન ફરી શકે. યમનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, નિમિષાએ 2017 માં કથિત રીતે તેનો પાસપોર્ટ પાછો મેળવવા માટે મહદીને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ જીવલેણ સાબિત થયો. કારણ કે મહદીનું મૃત્યુ સંભવિત ઓવરડોઝથી થયું હતું. આ પછી, યમનના અધિકારીઓએ તેની ધરપકડ કરી. 2018 માં, તેને હત્યાનો દોષી ઠેરવવામાં આવી અને 2020 માં, યમનની એક કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી. આ બાબત આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સમાં બની. માનવાધિકાર સંગઠનો અને સામાજિક કાર્યકરોએ તેની સજા સામે ઝુંબેશ શરૂ કરી.
પરિસ્થિતિ આ રીતે વણસી
ડિસેમ્બર 2024 માં યમનના રાષ્ટ્રપતિ રશાદ અલ-અલીમીએ મૃત્યુદંડને મંજૂરી આપી ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, અને જાન્યુઆરી 2025માં હુતી બળવાખોર નેતા મહદી અલ-મશાતે પણ તેની પુષ્ટિ કરી હતી. આ પછી, ભારતમાં ધાર્મિક અને રાજદ્વારી સ્તરે તેમનો બચાવ કરવાના પ્રયાસો તીવ્ર બન્યા. હવે ગ્રાન્ડ મુફ્તીના કાર્યાલયે માહિતી આપી છે કે યમનમાં ઉચ્ચ-સ્તરીય બેઠક પછી, નિમિષાની મૃત્યુદંડ રદ કરવામાં આવી છે, જોકે યમનની સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ મળી નથી.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 29 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


