LIC ના કર્મચારીઓને કાયમી નોકરીની લાલચ આપી અમદાવાદના ઠગે 46.50 લાખ પડાવ્યા
ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India) માં વર્ષોથી કરાર આધારિત નોકરી કરી રહેલા 7 લોકો પાસેથી અમદાવાદના એક ઠગે 46.50 લાખ રૂપિયા પડાવી લીધા છે. સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા અને ભાડાના મકાનમાં રહેતા લોકોને દિલ્હીના સંપર્કોથી કાયમી નોકરી કરાવી આપવાની લાલચ આપનારા ચિકેશ કાંતીલાલ શાહ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
શું છે છેતરપિંડીનો સમગ્ર મામલો ?
અમદાવાદના સરસપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા બીપીનભાઈ મકવાણા (ઉ.57) છેલ્લાં 12 વર્ષથી LIC માં કરાર આધારિત નોકરી કરે છે. રિલીફ રોડ પર આવેલા જીવન પ્રકાશ બિલ્ડીંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા બીપીનભાઈ અને અન્ય કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા માટે એસોસીએશન તરફથી અદાલતમાં કેસ કરવામાં આવ્યો હતો. માર્ચ-2015માં અદાલતનો ચુકાદો તરફેણમાં આવ્યો હોવા છતાં તેમને કાયમી કર્મચારી બનાવાયા ન હતા. રિલીફ રોડ પર દેરાસરમાં આવતા ચિકેશ શાહ સાથે વર્ષ 2023માં બીપીનભાઈનો પરિચય થયો હતો. ચિકેશ કાંતીલાલ શાહે (રહે. નિવિદ એપાર્ટમેન્ટ, જેઠાભાઈ પાર્ક બસ સ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ) પોતાના દિલ્હી સુધી સંપર્ક હોવાનું કહી બીપીનભાઈને કાયમી નોકરી અપાવવાની લાલચ આપી હતી. બીપીનભાઈની જેમ LIC ના અન્ય કરાર આધારિત કર્મચારીઓ સાથે ચિકેશે મીટિંગ કરી પ્રથમ ટોકન પેટ એપ્રિલ-2023માં 5 રૂપિયા લાખ રોકડા લીધા હતા. ત્યારબાદ ટુકડે ટુકડે કુલ રૂપિયા 46 લાખ 50 હજાર મેળવી લીધા હતા. બીપીનભાઈ સહિતના લોકોએ કડક ઉઘરાણી કરતા ચિકેશ શાહે નોટરાઈડઝ ડેકલેરેશન તેમજ બેંક ઑફ બરોડાનો ચેક બાંહેધરી પેટે આપી 31 જાન્યુઆરી 2025 સુધીમાં કાયમી કર્મચારીનો હુકમ કરાવી આપવાની ખાતરી આપી હતી. આખરે બીપીનભાઈ સહિતના લોકોને પોતાની સાથે ઠગાઈ થયાની જાણ થતાં તેમણે આર્થિક ગુના નિવારણ શાખા (EOW Ahmedabad) માં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો - હિમાચલથી ચરસ લાવીને ગુજરાતમાં વેચનારા રત્ન કલાકારને SMC એ પકડ્યો
EOW એ તપાસ શરૂ કરી
LIC ના કરાર આધારિત કર્મચારીઓ સાથે ઠગાઈ થઈ હોવાની અરજી મળતા EOW Ahmedabad એ આ મામલે તપાસ આરંભી હતી. પ્રાથમિક તપાસમાં ચિકેશ કાંતીલાલ શાહે (Chikesh Kantilal Shah) છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ચિકેશ શાહને EOW એ કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે નોટિસ આપી છે. છેતરપિંડીના મામલે તપાસ કર્યા બાદ ચિકેશ શાહની ધરપકડ કરવામાં આવશે.


