ઓપરેશન સિંદૂરમાં સામેલ સૈનિક પર હુમલા કેસમાં NHAI એ કરી મોટી કાર્યવાહી, ટોલ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ,20 લાખનો દંડ ફટકાર્યો
- સૈનિક પર હુમલાના કેસમાં NHAI એ કરી મોટી કાર્યવાહી
- ટોલ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ,20 લાખનો દંડ ફટકાર્યો
- સૈનિક પર હુમલાના કેસમાં 6 આરોપીઓની કરાઇ ધરપકડ
ઓપરેશન સિંદુરમાં સામેલ જવાન સાથે મેરઠ-કરનાલ સેક્શનના ભુની ટોલ પ્લાઝા પર તૈનાતા કર્મચારીઓએ મારપીટ કરી હતી, આ કેસમાં હવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ મોટી કાર્યવાહી કરી છે. ટોલ કલેકશન એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. તેને એક વર્ષ માટે કોઈપણ નવી બિડમાં ભાગ લેવાથી પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.
NHAIએ કરી મોટી કાર્યવાહી
નોંધનીય છે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ 20 લાખનો દંડ પણ ફટકાર્યો છે, સાથે તેની 5 લાખ રૂપિયાની પર્ફોમન્સ ડિપોઝીટ પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, ભુની ટોલ પ્લાઝા પર તોડફોડ કરેલા સાધનો અને માળખાના સમારકામ અને રિપ્લેસમેન્ટ માટે 3.66 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.જે સૈનિક સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો તે ઓપરેશન સિંદૂરમાં સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે ઘટના અંગે સ્પષ્ટતા માટે ટોલ એજન્સી મેસર્સ ધરમ સિંહને 'કારણ બતાવો' નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ તેનો જવાબ અસંતોષકારક જણાયો હતો. તપાસમાં એજન્સીને કરારની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવી હતી, જેમાં ટોલ કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક, હુમલો, જાહેર સંપત્તિને નુકસાન અને ફી વસૂલાત સહિતના અનેક પાંસાઓનો સમાવેશ થાય છે.
NHAIએ કાર્યવાહી, હુમલાના 6 આરોપીઓની કરાઇ ધરપકડ
આ કેસ સામે આવ્યા બાદ, મેરઠ પોલીસ સક્રિય થઈ ગઈ. એસએસપી ડૉ. વિપિન તાડાએ જણાવ્યું હતું કે ઘટના સાથે સંકળાયેલા છ આરોપીઓ - સચિન, વિજય, અનુજ, અંકિત, સુરેશ રાણા અને અંકિત શર્માની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે. પીડિત જવાન કપિલ સેનામાં છે અને શ્રીનગરમાં તૈનાત છે. તે ઓપરેશન સિંદૂરમાં પણ સામેલ હતા. રજા પૂર્ણ કર્યા પછી, તે દિલ્હી એરપોર્ટથી ફ્લાઇટ પકડીને ફરજ પર પાછા જઈ રહ્યા હતા
ટોલ એજન્સીઓને NHAI ની સૂચના
ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે, NHAIએ તમામ ટોલ એજન્સીઓને તેમના કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે જેઓ રોડ યુઝર્સ અને જનપ્રતિનિધિઓ સાથે આવું વર્તન કરે છે. NHAIએ તમામ ટોલ એજન્સીઓને હાઇવે યુઝર્સ સાથે સારા વર્તન માટે ટોલ કર્મચારીઓને તાલીમ આપવા માટે પણ સૂચનાઓ જારી કરી છે. NHAIએ તમામ ટોલ પ્લાઝા કર્મચારીઓ માટે 'ટોલ પ્લાઝા પર ગ્રાહક ક્રિયાપ્રતિક્રિયા અને સંદેશાવ્યવહાર કૌશલ્ય વધારવું' વિષય પર એક તાલીમ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. NHAI એ સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લોકોને સરળ મુસાફરીનો અનુભવ પૂરો પાડવો એ તેમની પ્રાથમિકતા છે. ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા હાઇવે વપરાશકર્તાઓ સાથે અભદ્ર વર્તન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય રહેશે નહીં અને આવી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: જયપુરના Amer fort ની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી, અનેક પ્રવાસીઓનો આબાદ બચાવ


