OPERATION AKHAL : કુલગામમાં એન્કાઉન્ટર જારી, ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા
- ઓપરેશન અખાલનો ત્રીજા દિવસમાં પ્રવેશ
- આતંકવાદીઓ જોડે ભારતીય સેનાનું એન્કાઉન્ટર જારી
- સરહદ પર સેના હાઇ એલર્ટ પર મુકાઇ
OPERATION AKHAL : જમ્મુ અને કાશ્મીરના કુલગામ (KULGAM) જિલ્લામાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું ઓપરેશન સતત ત્રીજા દિવસે ચાલુ રહ્યું છે. ચાલુ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. શુક્રવારે કુલગામના અખાલ (OPERATION AKHAL) જંગલ વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. વિસ્તારને ઘેરી લીધા બાદ સુરક્ષા દળો પર ગોળીબાર કરવામાં આવ્યો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું છે.
વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે
શુક્રવારે આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે બીજો આતંકવાદી શનિવારે માર્યો ગયો હતો. રવિવારે ત્રીજો આતંકવાદી પણ માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, હજુ પણ આ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે, તેથી ઓપરેશન ચાલુ રહેશે. ખીણમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોની આક્રમક કાર્યવાહી ચાલુ છે. સરહદ પર સેના હાઇ એલર્ટ પર છે અને LoC પર કડક નજર રાખવામાં આવી રહી છે.
લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અને સાથીનો સમાવેશ
28 જુલાઈના રોજ શ્રીનગરના હરવાન વિસ્તારમાં આવેલા દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સુલેમાન શાહ અને તેના બે સાથી અબુ હમઝા અને જિબ્રાન ભાઈનો સમાવેશ થાય છે. આ ત્રણ આતંકવાદીઓ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ હતા, જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા.
ઝુંબેશ વધુ તીવ્ર બનાવી
બીજા જ દિવસે ૨૯ જુલાઈના રોજ સેનાએ 'ઓપરેશન શિવ શક્તિ' શરૂ કર્યું, જેમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા. પહેલગામ હુમલા પછી, સુરક્ષા દળોએ આતંકવાદીઓ તેમજ તેમના સહયોગીઓ, ઓવરગ્રાઉન્ડ વર્કર્સ અને સમર્થકો સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી દીધી છે.
આ પણ વાંચો ---- Amarnath Yatra 2025:અમરનાથની યાત્રા એક અઠવાડિયા પહેલા બંધ કરાઈ, જાણો કારણ?


