'જો આતંકવાદ માથું ઉંચકશે, તો ભારત તેને કચડી નાખશે' : PM મોદી
- બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગર્જના
- ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત વડાપ્રધાન બિહાર પહોંચ્યા
- દુશ્મન દેશને કડક ભાષામાં સંદેશો આપ્યો
PM MODI IN BIHAR : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) એ શુક્રવારે બિહાર (BIHAR) ના કરકટમાં એક સભાને સંબોધિત કરતા આતંકવાદીઓને કડક ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, હું બિહારની ધરતી પરથી કહેવા માંગુ છું કે, ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) દ્વારા દુશ્મનો સામે ભારતની તાકાત આખી દુનિયાએ જોઈ છે. પણ દુશ્મને સમજવું જોઈએ કે આ આપણા ભાથામાંથી નીકળેલો એક તીર છે. આતંકવાદ સામે ભારતની લડાઈ ન તો અટકી છે અને ન તો થોભી છે. જો આતંક ફરીથી માથું ઉંચકશે, તો ભારત તેને કચડી નાખશે.
આપણી સેનાએ તેમના ઘરોને ખંડેરમાં ફેરવી દીધા
પીએમ મોદીએ કહ્યું કે, આપણી લડાઈ દેશના દરેક દુશ્મન સામે છે. પછી ભલે તે સરહદ પાર હોય કે દેશની અંદર. વર્ષોથી આપણે હિંસા અને અશાંતિ ફેલાવનારાઓનો નાશ કર્યો છે. પહલગામ આતંકવાદી હુમલા પછી જ્યારે હું બિહાર આવ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે, આતંકવાદીઓને તેમની કલ્પના બહારની સજા આપવામાં આવશે. આજે, જ્યારે હું બિહાર આવ્યો છું, ત્યારે હું મારું વચન પૂરું કરીને આવ્યો છું. જે લોકો પાકિસ્તાનમાં બેસીને આપણી બહેનો પાસેથી સિંદૂર છીનવી લીધું હતું. આપણી સેનાએ તેમના ઘરોને ખંડેરમાં ફેરવી દીધા છે. પાકિસ્તાની સેનાના રક્ષણ હેઠળ આતંકવાદીઓ પોતાને સુરક્ષિત માનતા હતા. આપણા દળોએ તેમને એક જ ઝાટકે ઘૂંટણિયે પાડી દીધા. પાકિસ્તાનના હવાઈ મથકો અને લશ્કરી મથકો થોડીવારમાં જ નાશ પામ્યા. આ નવું ભારત છે અને આ જ તેની તાકાત છે.
BSF સૈનિકો માટે ભારત માતાનું રક્ષણ સર્વોપરી
પીએમ મોદીએ કહ્યું કે, બિહાર વીર કુંવર સિંહની ભૂમિ છે. અહીંના હજારો યુવાનો દેશની સુરક્ષા માટે સેનામાં પોતાના જીવનનું બલિદાન આપે છે. ઓપરેશન સિંદૂર માં દુનિયાએ આપણા BSF ની અભૂતપૂર્વ બહાદુરી અને અદમ્ય હિંમત જોઈ છે. આપણી સરહદ પર તૈનાત બીએસએફ સૈનિકો સુરક્ષાનો એક અભેદ્ય કિલ્લો છે. આપણા BSF સૈનિકો માટે ભારત માતાનું રક્ષણ સર્વોપરી છે. BSF સબ ઇન્સ્પેક્ટર ઇમ્તિયાઝ 10 મેના રોજ માતૃભૂમિની સેવા કરવાની પવિત્ર ફરજ બજાવતા શહીદ થયા હતા. હું તેમને આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
હોસ્પિટલો, મોબાઇલ ટાવરો, શાળાઓ ન્હોતી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, થોડા વર્ષો પહેલા સુધી બિહારના સાસારામ, કૈમુર અને આસપાસના જિલ્લાઓમાં નક્સલવાદ જોરમાં હતું. બધાને ડર હતો કે નક્સલવાદીઓ માસ્ક પહેરીને હાથમાં બંદૂકો લઈને, ક્યારે અને ક્યાં રસ્તાઓ પર નીકળશે. સરકારી યોજનાઓ આવતી હતી, પણ તે નાગરિકો સુધી પહોંચતી ન્હોતી. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં હોસ્પિટલો, મોબાઇલ ટાવરો, શાળાઓ ન્હોતી. અહીં રસ્તા બનાવનારા લોકોને મારી નાખવામાં આવતા હતા. આ લોકો બાબાસાહેબ આંબેડકરના બંધારણમાં માનતા ન્હોતા. પરંતુ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આવી પરિસ્થિતિઓમાં વિકાસ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો.
દરેક ગામમાં શાંતિ, સુરક્ષા અને શિક્ષણ પહોંચાડવામાં આવશે
વધુમાં ઉમેર્યું કે, વર્ષ 2014 થી અમે આ દિશામાં ઝડપથી કામ કર્યું છે. માઓવાદીઓને તેમના કાર્યો માટે સજા કરવામાં આવી છે. અમે યુવાનોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવ્યા છીએ. 11 વર્ષ પહેલાં આપેલા વચનના ફળ હવે દેશે મેળવવાનું શરૂ કરી દીધું છે. 2014 પહેલા દેશના 125 થી વધુ જિલ્લાઓ નક્સલ પ્રભાવિત હતા. હવે ફક્ત 18 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત બાકી રહ્યા છે. એ દિવસ દૂર નથી જ્યારે માઓવાદી હિંસા સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. કોઈપણ અવરોધ વિના દરેક ગામમાં શાંતિ, સુરક્ષા અને શિક્ષણ પહોંચાડવામાં આવશે. જ્યારે નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાંથી જંગલ રાજ સરકાર દૂર કરવામાં આવ્યું, ત્યારે બિહારે પણ પ્રગતિ કરી છે. બિહારમાં તૂટેલા રસ્તા, હાઇવે અને ખરાબ રેલ્વે હવે ઇતિહાસ બની ગયા છે.
આ પણ વાંચો --- ભારતીય નૌસેનાએ પાકિસ્તાન પર મિસાઇલો અને ટોર્પિડો ફાયર કર્યા, રક્ષામંત્રીનો ખુલાસો


