Rajkot: જેતપુરની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીને તમાચા માર્યા, ઘટના CCTVમાં કેદ
- રાજકોટમાં શાળાના પ્રિન્સીપાલ બન્યા નિર્દયી!
- જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનો વીડિયો આવ્યો સામે
- વિદ્યાર્થીને માર મારતા પ્રિન્સીપાલ કેમેરામાં કેદ
- પ્રિન્સીપાલે માસૂમ વિદ્યાર્થીને જાહેરમાં માર્યા તમાચા
- 16 જાન્યુઆરીની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
- વિદ્યાર્થીના વાલીએ શાળામાં આવી કરી તોડફોડ
રાજકોટના જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ફાધરે માર મારતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સ્કૂલની લોબીમાં આવી રહેલા વિદ્યાર્થીને કોઈ કારણોસર ફાધરે પાંચ ફડાકા ઝીંકી દીધા હતા.
રાજકોટના જેતપુરની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલની ઘટના
મળતી માહિતી મુજબ જેતપુરની ગ્રાન્ટેડ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં જ સ્કૂલના જ ફાધર દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે સ્કૂલનો સમય શરૂ થયા બાદ સવારે તમામ વિદ્યાર્થીઓ ક્લાસમાં જતા હોય છે તેવામાં લોબીમાં જતા એક વિદ્યાર્થી ઉપર આ જ સ્કૂલના ફાધર તૂટી પડે છે અને એક વિદ્યાર્થીને 5 થી 6 લાફા મારી દે છે. જેને કારણે આસપાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ત્યાં એકઠા થઈ જાય છે. જોકે વિદ્યાર્થીને કયાં કારણોથી લાફા મારવામાં આવ્યા તે હજુ સુધી સામે આવ્યું નથી.
ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા
આ અંગે રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, જેતપુરની સેન્ટ ફ્રાન્સીસ ગ્રાન્ટેડ સ્કૂલમાં ફાધર દ્વારા કોઈ વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાના સીસીટીવી મને મીડિયાના માધ્યમથી મળ્યા છે. જેથી આ ઘટના અંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી છે. જોકે આ ઘટના એક અઠવાડિયા પહેલાની એટલે કે 16 જાન્યુઆરીની હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થી કોણ છે? કયા ધોરણમાં અભ્યાસ કરે છે? અને ફાધર દ્વારા શા માટે માર મારવામાં આવ્યો તે અંગે તપાસ બાદ જ ખ્યાલ આવશે. એક અઠવાડિયા બાદ પણ આ ઘટનામાં હજુ સુધી મને વાલીની ફરિયાદ મળી નથી.
સુરતમાં વિદ્યાર્થીનીએ આપઘાત કરતા શાળાના સંચાલકો સામે આક્ષેપ
સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરોજ ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા ઘરે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી. દીકરીના મોતને પગલે પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતાં શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કારણે વિદ્યાર્થીનીને સજાના ભાગ રૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે આજે (22 જાન્યુઆરી, 2025) કહ્યું કે, આદર્શ પબ્લિક સ્કૂલની ઘટના મારા ધ્યાન પર આવી છે. ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. આ મામલે અમે પાંચ સભ્યોની કમિટી બનાવી તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીનીના મિત્રો અને પરિવારજનોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે અને રિપોર્ટ બાદ જો શાળા સામે કોઈ વાંધો જણાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે, આ સાથે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે.


